05 April, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ‘રામાયણ’ને લઈને છેલ્લાં ત્રણ વર્ષથી ચર્ચાઓ ચાલી રહી છે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ફિલ્મ બે ભાગમાં બનવાની છે. પહેલો ભાગ આ વર્ષની દિવાળી વખતે અને બીજો ભાગ આવતા વર્ષની દિવાળીએ રિલીઝ થશે. ફિલ્મ બનાવવા માટે મેકર્સે અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ ખર્ચ્યું છે અને હવે આ રકમ કેવી રીતે વસૂલાશે એની ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મને રિલીઝ પહેલાં જ એક OTT પ્લૅટફૉર્મ તરફથી આશરે ૭૦૦ કરોડ રૂપિયાની ઑફર મળી હતી, પણ નિર્માતા નમિત મલ્હોત્રાએ આ ડીલ નકારી દીધી હતી. ચર્ચા છે કે તેઓ આ ફિલ્મ માટે વધુ મોટી ડીલની રાહ જોઈ રહ્યા છે. ચર્ચા છે કે નમિત મલ્હોત્રા હવે ૧૦૦૦ કરોડ રૂપિયાની OTT ડીલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની યોજના મુજબ લગભગ ૧૦૦૦ કરોડ OTT ડીલમાંથી અને બાકીના ૩૦૦૦ કરોડ રૂપિયા ગ્લોબલ થિયેટ્રિકલ રિલીઝ તેમ જ અન્ય સ્રોતોથી મેળવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે હવે ‘રામાયણ’ની ટીમ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની ટીમ જેવી સ્ટ્રૅટેજી અપનાવવાની તૈયારી કરી રહી છે. નમિત મલ્હોત્રાએ ફિલ્મના રાઇટ્સ હાલ પોતાના પાસે જ રાખ્યા છે અને યોગ્ય કિંમત મળ્યા બાદ જ કોઈ પાર્ટનર સાથે ડીલ કરશે. સંભાવના એવી પણ છે કે તેઓ શરૂઆતમાં માત્ર પહેલા ભાગના રાઇટ્સ વેચશે અને બીજા ભાગના રાઇટ્સ ફિલ્મ રિલીઝ થયા બાદ જ વેચવાનો નિર્ણય લેશે.
રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પહેલા ભાગનું ટીઝર હાલમાં લૉન્ચ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફર્સ્ટ લુક ટીઝરમાં રણબીર કપૂરને ભગવાન રામના પાત્રમાં દર્શાવવામાં આવ્યો છે. જોકે ઇન્ટરનેટ પર આ ટીઝરને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમ્યાન કેટલાક ચાહકોએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી રણબીર કપૂરને બદલે રણવીર સિંહને ભગવાન રામના સ્વરૂપમાં રજૂ કર્યો છે જે દેખાવમાં ખૂબ જ પ્રભાવશાળી લાગી રહ્યો છે. રણવીર સિંહને આ પાત્રમાં જોઈને ઘણા ફૅન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના ચહેરા તેમ જ લુકને ભગવાન રામ બનવા માટે પર્ફેક્ટ ગણાવી રહ્યા છે.