22 March, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. એસ. રાજામૌલી
‘ધુરંધર : ધ રિવેન્જ’ ભારતીય સિનેમામાં નવું ઉદાહરણ બનીને સામે આવી છે. ફિલ્મનો ૪ કલાકનો લાંબો રનટાઇમ હોવા છતાં એની મજબૂત ઇમોશનલ સ્ટોરી દર્શકોને અંત સુધી બાંધી રાખે છે. હવે ફિલ્મને લઈને સાઉથના દિગ્ગજ નિર્દેશક એસ. એસ. રાજામૌલીએ પણ એનાં ખુલ્લેઆમ વખાણ કર્યાં છે. તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યું કે મને ‘ધુરંધર’નો પહેલો ભાગ ખૂબ પસંદ આવ્યો હતો, પરંતુ ‘ધુરંધર : ધ રિવેન્જ’એ સ્કેલ અને આત્માની દૃષ્ટિએ ઓરિજિનલને પણ પાછળ છોડી દીધું છે. તેમણે ફિલ્મનાં રાઇટિંગ, કાસ્ટિંગ, ટેક્નિકલ એક્ઝિક્યુશન, મ્યુઝિક અને વર્લ્ડ ડિઝાઇનની ખાસ પ્રશંસા કરી. એસ. એસ. રાજામૌલીએ વધુમાં કહ્યું હતું કે ‘ફિલ્મનાં ઇમોશનલ પાસાં જ એને જમીન સાથે જોડે છે અને પ્લૉટ-ટ્વિસ્ટને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે એ દર્શકોમાં સાચું ટેન્શન અને ઉત્સુકતા ઊભી કરે છે.’ તેમણે આ ફિલ્મને ૪ કલાકની હોવા છતાં દર્શકોને છેલ્લી ક્ષણ સુધી બાંધી રાખવા બદલ ટીમની હિંમતને પણ બિરદાવી છે. રણવીર સિંહના અભિનય વિશે વાત કરતાં એસ. એસ. રાજામૌલીએ તેને માસ્ટરક્લાસ ગણાવ્યો. તેમણે આર. માધવનના અભિનયની પણ પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે એક દેશની લાચાર સ્થિતિને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી છે.