ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાંથી ૪૧ જણને ઉગારી લેવાની ઘટના પરથી બનશે ફિલ્મ

11 July, 2026 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સર્જનાત્મક સહયોગનું પ્રતીક બનશે, આમિર ખાન અને કબીર ખાન મળીને બનાવશે

આમિર ખાન સાથે ઘટનાના હીરો આર્નોલ્ડ ડિક્સ (જમણેથી બીજા) અને કબીર ખાન (એકદમ ડાબે).

આમિર ખાન પ્રોડક્શન્સ, માઇન્ડ બ્લોઇંગ ફિલ્મ્સ અને કબીર ખાન ફિલ્મ્સે તેમની નવી ફિલ્મ ‘સિલ્ક્યારા 41’ની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફિલ્મ ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં થયેલા ઐતિહાસિક બચાવ-અભિયાન પર આધારિત હશે. આ રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના સ્થાનિક હીરો અને વિશ્વવિખ્યાત ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું ડિરેક્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર કબીર ખાન કરશે. આ ફિલ્મ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સર્જનાત્મક સહયોગનું પણ પ્રતીક બનશે. ફિલ્મની જાહેરાત કરતાં નિર્માતાઓએ જણાવ્યું હતું કે ‘માઇન્ડ બ્લોઇંગ ફિલ્મ્સ અને આમિર ખાન પ્રોડક્શન્સ વચ્ચેના આ મહત્ત્વપૂર્ણ સહયોગની જાહેરાત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. સિલ્ક્યારા ટનલ બચાવ-અભિયાનની વાર્તાએ અમને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા છે. આ ઘટના અશક્ય લાગતી પરિસ્થિતિમાં હિંમત, ધીરજ, બુદ્ધિમત્તા અને માનવતાનું અનોખું ઉદાહરણ છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોના નવા અધ્યાયની શરૂઆતના આ ઐતિહાસિક અવસરે આ ફિલ્મની જાહેરાત કરતાં અમને ગર્વ થાય છે.’

શું થયું હતું સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાં?

સિલ્ક્યારા ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું એક સ્થળ છે. આ સ્થળ ત્યાં નિર્માણ પામી રહેલી સિલ્ક્યારા-બારકોટ ટનલ અને ૨૦૨૩ના નવેમ્બરમાં થયેલા મોટા રેસ્ક્યુ ઑપરેશનને કારણે વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યું હતું. ૨૦૨૩માં દિવાળીના દિવસે આ નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં ટનલની અંદર ૪૧ મજૂરો ફસાઈ ગયા હતા. સળંગ ૧૭ દિવસ સુધી ચાલેલા આ જટિલ અને હાઈ-ટેક રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઑપરેશનમાં જ્યારે મોટી ડ્રિલિંગ મશીનો નિષ્ફળ ગઈ ત્યારે હાથથી ખોદકામ કરીને સફળતા મેળવવામાં આવી હતી. આ જ પ્રેરણાદાયી ઘટનાને હવે ‘સિલ્ક્યારા 41’ દ્વારા મોટા પડદા પર રજૂ કરવામાં આવશે.

aamir khan kabir khan bollywood news bollywood buzz bollywood gossips bollywood