વર્ષોના સંઘર્ષ પછી જ્યારે કોઈ ફિલ્મ સફળ થાય છે ત્યારે નસીબ પર વિશ્વાસ કરવા માંડો છો

15 February, 2026 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નાટક નાટ્યકાર અને પ્રોફેસર અસગર વજાહત દ્વારા લખાયેલું છે. આ ફિલ્મની વાર્તા વિભાજનકાળની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને લખનઉથી લાહોર જતા એક મુસ્લિમ પરિવારની સ્ટોરી રજૂ કરે છે.

સની દેઓલ

સની દેઓલ હાલમાં પોતાની કરીઅરની ટોચ પર છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બૉર્ડર 2’ ફૅન્સને પસંદ પડી છે. સની હાલમાં આ ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યો છે ત્યારે તેણે એક ઇન્ટરવ્યુ દરમ્યાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાના ઉતાર-ચડાવ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં સનીએ કહ્યું હતું કે ‘હું ઘણાં વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને મેં ઘણુંબધું જોયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જો તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, ખાસ કરીને અભિનેતા હો તો કરીઅરમાં ઉતાર-ચડાવ તો આવશે જ, એની તૈયારી રાખવી પડે છે. તમારે સતત મહેનત કરતા રહેવું પડે અને કરવી જ જોઈએ.’ સનીએ વાતચીતમાં જણાવ્યું હતું કે સફળતા ઘણી વખત નસીબના મહત્ત્વને સમજાવે છે. તેણે કહ્યું હતું કે ‘વર્ષોના સંઘર્ષ પછી જ્યારે કોઈ ફિલ્મ સફળ થાય છે ત્યારે તમે નસીબ પર વિશ્વાસ કરવા લાગો છો. એ પહેલાં તો આપણે વિચારતા રહીએ છીએ કે હું મારી કિસ્મત બનાવીશ, હું આ કરીશ, હું તે કરીશ. માણસ આમ જ વિચારે છે, પણ પછી તમે નસીબ પર વિશ્વાસ કરો છો. સમય સાથે બધું બદલાય છે. ઇન્ડસ્ટ્રી પણ ઘણી બદલાઈ છે. ૨૦૦૦ની સાલ પછી કૉર્પોરેટ દુનિયા આવી અને ફિલ્મો બનાવવાની રીત, વિષયોની પસંદગી, કલાકારો, દિગ્દર્શકો એમ બધું બદલાયું. કદાચ એ સમયમાં મારા માટે યોગ્ય એવા વિષયો નહોતા.’

સની દેઓલની લાહોર 1947નું નામ બદલાઈ શકે છે

અભિનેતા સની દેઓલની ફિલ્મ ‘બૉર્ડર 2’એ બૉક્સ-ઑફિસ પર સારીએવી સફળતા મેળવી છે. આ ફિલ્મ પછી હવે સનીની આગામી પિરિયડ ડ્રામા ફિલ્મ ‘લાહોર 1947’ની રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવી હતી. ડિરેક્ટર રાજકુમાર સંતોષીની આમિર ખાન પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનેલી આ ફિલ્મ ૧૩ ઑગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવા તૈયાર છે. જોકે લેટેસ્ટ અપડેટ પ્રમાણે આ ફિલ્મનું ટાઇટલ બદલાઈ શકે છે. સની દેઓલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘લાહોર 1947’નું નામ રિલીઝ પહેલાં બદલાઈ શકે છે. તેણે કહ્યું હતું કે ‘મારી ઘણી ફિલ્મો આવવાની છે. એમાંની એક ‘લાહોર 1947’ છે. આ ફિલ્મનું ટાઇટલ કદાચ બદલાય કે કદાચ એ જ રહે. આ ફિલ્મ એક પ્રસિદ્ધ નાટક પર આધારિત છે. ૧૫ ઑગસ્ટને ધ્યાનમાં રાખીને એને રિલીઝ કરવામાં આવશે.’ ફિલ્મ ‘લાહોર 1947’ પ્રખ્યાત નાટક ‘જીસ લાહોર નહીં દેખ્યા વો જમ્યા હી નહીં’ પર આધારિત છે. આ નાટક નાટ્યકાર અને પ્રોફેસર અસગર વજાહત દ્વારા લખાયેલું છે. આ ફિલ્મની વાર્તા વિભાજનકાળની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને લખનઉથી લાહોર જતા એક મુસ્લિમ પરિવારની સ્ટોરી રજૂ કરે છે.

sunny deol border bollywood buzz bollywood news bollywood gossips bollywood