01 March, 2026 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ સુપરહિટ સાબિત થઈ હતી અને હવે ૧૯ માર્ચે એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ રિલીઝ થવાની છે. ‘ધુરંધર’ના ફૅન્સ આ સીક્વલ જોવા માટે ઉત્સાહી છે ત્યારે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરની પત્ની અને ઍક્ટ્રેસ યામી ગૌતમે જણાવ્યું છે કે તે ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોઈ ચૂકી છે. યામીએ આ સીક્વલ વિશે પોતાનો રિવ્યુ આપીને એને અસાધારણથી પણ વિશેષ ગણાવી છે.
‘ધુરંધર : ધ રિવેન્જ’ જોવાનો પોતાનો અનુભવ જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘મારા પતિએ ‘ઉરી’ જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મો બનાવી છે. તાજેતરમાં તેમણે ‘ધુરંધર’ બનાવી છે. ‘ધુરંધર’ જેવી ફિલ્મ બનાવવા માટે તેમનામાં અદ્ભુત જુસ્સો છે, નહીં તો આ શક્ય ન બનત. મેં ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોઈ લીધી છે. આ ફિલ્મ અસાધારણથી પણ વિશેષ છે. આ ફિલ્મ જોઈને હું ખૂબ ભાવુક થઈ ગઈ હતી. એ દિવસે મારે ફ્લાઇટ પકડવાની હતી તેથી હું આદિત્યને કંઈ કહી શકી નહીં. પછી પણ હું કંઈ કરી શકી નહીં. ફ્લાઇટમાં મારે સ્ક્રિપ્ટ વાંચવી હતી, પણ વાંચી શકી નહીં. મારે કંઈક જોવું હતું, પણ જોઈ શકી નહીં. હું માત્ર ફ્લાઇટની બહાર સૂર્યાસ્ત જોતી રહી અને વિચારતી જ રહી. આદિત્ય પોતાના દેશને અને દર્શકોને બહુ પ્રેમ કરે છે અને એટલે તેમણે આ ફિલ્મ બનાવવામાં પોતાનું જીવન લગાવી દીધું છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ દર્શકો માટે એક એવો અનુભવ હશે જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.’