30 June, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાંક્ષાના પિતા રાજેન્દ્ર ચમોલાએ જમાઈ પર કરેલી કમેન્ટ ભારે ચર્ચામાં
ગૌરવ અને આકાંક્ષાના છૂટાછેડાના સમાચારો વચ્ચે આકાંક્ષાના પિતા હોવાનો દાવો કરતી એક વ્યક્તિની એક કમેન્ટ ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ કમેન્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આકાંક્ષા છેલ્લા એક વર્ષથી અંધેરી સ્થિત પિતાના ઘરે રહે છે. આ સાથે જ એમાં ગૌરવ પર પણ કેટલાક ચોંકાવનારા આરોપો લગાવવામાં આવ્યા છે.
સોશ્યલ મીડિયા પર રાજેન્દ્ર ચમોલા નામની એક વ્યક્તિએ પોતાને આકાંક્ષાના પિતા ગણાવતાં લખ્યું છે, ‘હું આકાંક્ષાનો પિતા છું. તેણે જે કંઈ કહ્યું છે એ સંપૂર્ણપણે સાચું છે. તે છેલ્લા એક વર્ષથી મારા અંધેરી સ્થિત ઘરે રહે છે. જ્યાં સુધી બન્ને કાયદેસર રીતે અલગ ન થઈ જાય ત્યાં સુધી તેઓ એકબીજાને વ્યાવસાયિક રીતે સહકાર આપશે. ગૌરવ એક ખૂબ સારો અભિનેતા છે પણ તે આકાંક્ષાને આર્થિક કે નૈતિક સહયોગ આપી શક્યો નથી. તેણે બાળકના મુદ્દે જાહેરમાં વાત કરીને વિશ્વાસનો ભંગ કર્યો. તેણે જાણીજોઈને એવું વર્તન કર્યું જેથી લોકોની સહાનુભૂતિ મેળવી શકે અને મીડિયાની સામે આકાંક્ષાને વિલન તરીકે રજૂ કરી શકે.’
જોકે આ કમેન્ટ ખરેખર આકાંક્ષાના પિતા રાજેન્દ્ર ચમોલાએ જ કરી છે કે નહીં એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી આ દાવાઓની સત્યતા અંગે કોઈ નિશ્ચિત વાત કહી શકાય નહીં. છૂટાછેડાના દાવા અને વાઇરલ થઈ રહેલી કથિત કમેન્ટ અંગે ગૌરવ ખન્નાએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.