30 June, 2026 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાંક્ષા અને ગૌરવે થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં
નેટફ્લિક્સ પર શરૂ થયેલા રિયલિટી શો ‘લૉક-અપ : સચ યા સઝા’ સીઝન 2ના પ્રીમિયરમાં ટીવી-ઍક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે અને પતિ ગૌરવ ખન્ના હવે છૂટાછેડા લેવા જઈ રહ્યાં છે. શોના બીજા એપિસોડમાં તેણે પોતાના સંબંધ અને જીવનમાં આગળ વધવાની યોજનાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.
શોની સ્પર્ધક શ્રેયા કાલરા સાથે વાતચીત કરતી વખતે આકાંક્ષાએ પોતાના રિલેશનશિપ-સ્ટેટસ વિશે જણાવ્યું. જ્યારે શ્રેયાએ પૂછ્યું કે શું તે ફરી પ્રેમમાં પડવા માગે છે ત્યારે આકાંક્ષાએ જવાબ આપ્યો કે અત્યારે તો એવું નથી. આકાંક્ષાએ કહ્યું હતું કે ‘હું એટલી જલદી ફરી પ્રેમમાં પડવા માગતી નથી. હું થોડો સમય પોતાના માટે લેવા ઇચ્છું છું. મારાં લગ્ન માત્ર ૨૪ વર્ષની ઉંમરે થઈ ગયાં હતાં. મેં ખરેખર જીવનને એટલું એક્સપ્લોર કર્યું નથી કે એનો સંપૂર્ણ આનંદ માણ્યો નથી. હવે ૧૦ વર્ષના સારા સંબંધ પછી મારી પાસે પોતાના માટે સ્વતંત્ર સમય છે. હું હવે જીવનને એક્સપ્લોર કરવા ઇચ્છું છું અને એટલે અત્યારે કોઈ નવા સંબંધમાં પડવા માગતી નથી.’
આકાંક્ષા અને ગૌરવે થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં. કહેવાય છે કે બન્નેની મુલાકાત એક ઑડિશન દરમ્યાન થઈ હતી અને ત્યાંથી તેમનો પ્રેમ શરૂ થયો હતો. ગૌરવ અને આકાંક્ષાએ ૨૦૧૬ની ૨૪ નવેમ્બરે ગૌરવના વતન કાનપુરમાં ત્રણ દિવસ ચાલેલા ભવ્ય સમારોહમાં લગ્ન કર્યાં હતાં.