18 June, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તન્મય વેકરિયાએ આગાઉ શૅર કરેલી તસવીર
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના સેટ પર હંમેશા હાસ્ય અને ઉત્સાહનું વાતાવરણ હોય છે, પરંતુ તાજેતરમાં એક એવો પ્રસંગ બન્યો જ્યારે સેટ પર હાસ્યને બદલે ભાવુક ક્ષણ છવાઈ ગઈ. શોમાં `બાઘા`નું લોકપ્રિય પાત્ર ભજવતા અભિનેતા તન્મય વેકરિયા શૂટિંગ દરમિયાન તેમની દિવંગત માતાને યાદ કરીને ભાવુક થઈ ગયા અને સેટ પર જ રડી પડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તન્મય વેકરિયા હાલમાં બાઘા અને બાવરીની લવ સ્ટોરીના ટ્રેકનું શૂટિંગ કરી રહ્યા હતા, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. શૂટિંગ દરમિયાન અચાનક તન્મયને પોતાની માતાની યાદ આવી ગઈ, જેમનું હાલમાં જ નિધન થયું છે.
તન્મયની માતા તેમના સૌથી મોટા પ્રશંસક હતા અને ટીવી પર `બાઘા` તરીકે તેમને જોઈને ખૂબ ખુશ થતા હતા. આજના ટ્રેકને દર્શકો જે પ્રેમ આપી રહ્યા છે, તે જોઈને તેમને માતાની ખોટ વર્તાઈ અને તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં. તન્મયને રડતા જોઈને તરત જ શૂટિંગ રોકી દેવામાં આવી હતું. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પ્રોડ્યુસર અસિત કુમાર મોદી, નિર્દેશકો, સહ-કલાકારો અને ક્રૂ મેમ્બર્સ તરત જ તેમની પાસે દોડી આવ્યા અને તેમને સાંત્વના આપી હતી.
પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ તન્મયને હિંમત આપતા કહ્યું, "માતાનો પ્રેમ અમૂલ્ય છે. તેઓ ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે હોય છે. તારી માતા તને ઉપરથી જોઈ રહી છે અને તેને તારા પર હંમેશા ગર્વ રહેશે." તન્મયે આ ક્ષણે પોતાની માતા સાથેની અનેક યાદો વાગોળી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમની માતા ઉત્સાહપૂર્વક બાઘાના દરેક એપિસોડની રાહ જોતા હતા અને જ્યારે લોકો તેમના અભિનયના વખાણ કરતા, ત્યારે તે કેટલા ખુશ થતા હતા. આ વાતો સાંભળીને સેટ પર હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા હતા. આ મુશ્કેલ સમયમાં તેમના સહ-કલાકારો, ખાસ કરીને બાવરી અને નટ્ટુ કાકા, સતત તેમની સાથે રહ્યા અને તેમને માનસિક રીતે હિંમત આપી હતી. આ દ્રશ્ય પરથી સાબિત થયું કે ઓનસ્ક્રીન જોવા મળતી બાઘા, બાવરી અને નટ્ટુ કાકાની આત્મીયતા વાસ્તવિક જીવનમાં પણ એટલી જ ગાઢ છે. થોડીવાર માટે કૅમેરા, લાઈટ્સ અને કૉમેડી પાછળ રહી ગયા, અને માત્ર એક દીકરાનો તેની માતા પ્રત્યેનો પ્રેમ અને તેના સાથી કલાકારોનો સાથ જ જોવા મળ્યો. આ ઘટનાએ ફરી એકવાર યાદ અપાવ્યું કે કેટલાક સંબંધો ક્યારેય ભૂંસાતા નથી.