કપિલ શર્મા શોના ગાર્ડ્સે સ્મૃતિ ઈરાનીને ન આપ્યો પ્રવેશ, શૂટિંગ કર્યા વિના જ પરત ફર્યા કેન્દ્રીય પ્રધાન

24 November, 2021 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઈ હતી.

ફાઇલ ફોટો

ટીવી અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી સ્મૃતિ ઈરાની ધ કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે આવવાના હતા, પરંતુ હવે એવું થશે નહીં. સ્મૃતિ શૂટિંગ કર્યા વિના જ પરત ફર્યા છે. સ્મૃતિ ઈરાની તેમના પુસ્તક ‘લાલ સલામ’ના પ્રમોશન માટે અહીં આવવાના હતા, પરંતુ ગાર્ડે તેમને અંદર જવા દીધા ન હતા. આખરે સ્મૃતિ ઈરાનીએ પરત ફરવું પડ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેન્દ્રીય પ્રધાન શૂટિંગ માટે પ્રવેશ દ્વાર પર પહોંચ્યા ત્યારે ત્યાંના સુરક્ષા ગાર્ડ તેમને ઓળખી શક્યા ન હતા. સ્મૃતિએ તેમને કહ્યું હતું કે તેને સેટ પર એપિસોડ શૂટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, તે આ શોની સ્પેશિયલ ગેસ્ટ છે. આના પર ગાર્ડે કહ્યું હતું કે “અમને કોઈ ઓર્ડર મળ્યો નથી, માફ કરશો મેડમ, તમે અંદર જઈ શકશો નહીં.”

જોકે, ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઈ હતી. કપિલ શર્મા કે સ્મૃતિ ઈરાનીમાંથી કોઈને આ વાતની જાણ નહોતી. જોકે, કપિલ અને તેની પ્રોડક્શન ટીમને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે સેટ પર હંગામો મચી ગયો હતો.

તાજેતરમાં સ્મૃતિ ઈરાનીએ ઘણું વજન ઘટાડ્યું છે. ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી લોકપ્રિયતા મેળવનાર સ્મૃતિ ઈરાની હવે એકદમ સ્લિમ થઈ ગયા છે. તેણીની પહેલાં અને પછીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકોએ તેના કોમેન્ટ સેક્શનમાં વજન ઘટાડવાની ટિપ્સ માગી છે.

સ્મૃતિ ઈરાનીએ એકતા કપૂરના શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં ‘તુલસી’નું પાત્ર ભજવ્યું હતું. આ એક શોએ સ્મૃતિને ટીવીની દુનિયામાં ઘણો પ્રેમ અને ઓળખ આપી હતી. તે સમયથી એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની પણ મિત્રો બની ગયાં હતાં. સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર હંમેશા એકબીજા માટે ઊભા રહ્યા છે. બંને ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળે છે.

entertainment news television news the kapil sharma show kapil sharma smriti irani