16 June, 2020 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન
સિરિયલ પ્રેમીઓ અને ‘કસૌટી જિંદગી કી 2’ના ચાહકો માટે એક ખુશખબર છે. તેઓ આવતા મહિનાની શરૂઆતથી ટીવી પર સિરિયલના નવા એપિસોડ જોઈ શકશે. ‘કસૌટી જિંદગી કી 2’ની ટીમને શૂટિંગ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પ્રોડયુસર એકતા કપૂરે આપી છે. એટલે અનુરાગ બાસુ અને પ્રેરણા શર્મા ફરી રોમાન્સ કરતા જોવા મળશે.
શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, જ્યારથી મહારાષ્ટ્ર સરકારે શૂટિંગની પરવાનગી આપી છે ત્યારથી પ્રોડ્યૂસર્સ પોતાની ટીમ સાથે શૂટિંગ કેવી રીતે શરૂ કરવામાં આવે તેની ચર્ચા કરી રહ્યાં છે. હવે કસોટીની ટીમે 20 જૂનથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
સિરિયલમાં અનુરાગ બાસુનું પાત્ર ભજવતા પાર્થને હૈદરાબાદથી પાછો બોલાવી લેવામાં આવ્યો હોવાની માહિતી સુત્રોએ આપી છે. પાર્થ થોડાં દિવસ પહેલાં જ હૈદરાબાદ પોતાના મિત્રને મળવા ગયો હતો. ટીમે તેને મુંબઈ આવવા માટે કહ્યું છે. મુંબઈ આવીને પાર્થ થોડો સમય ક્વૉરન્ટીન રહેશે. ત્યારબાદ જ તે શૂટિંગ પર આવી શકશે. આ વાતને ધ્યાન રાખીને જ શૂટિંગ શિડ્યૂઅલ બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં ટીમ એક કમબેક પ્રોમો શૂટ કરશે, જેમાં એરિકા ફર્નાન્ડિઝ ઉર્ફ પ્રેરણા શર્મા અને પાર્થ સમથાન ઉર્ફ અનુરાગ જોવા મળશે. કોરોના વાયરસના આ માહોલમાં એરિકા શૂટિંગ કરવા માટે તૈયાર નહોતી. જોકે, ટીમે તેને આશ્વાસન આપ્યું છે કે સેટ પર દરેક સમયે સાવધાની રાખવામાં આવશે.
કહેવાય છે કે, લૉકડાઉનને કારણે કેટલાંક પ્રોડ્યૂસર્સે પોતાના શોના કલાકારોની ફી ઓછી કરવાનું નક્કી કર્યું છે. પરંતુ એકતા કપૂરે આમ નથી કર્યું. તેણે પોતાની ટીમને વિશ્વાસ અપાવ્યો છે કે તેમના પૈસા ઓછા કરવામાં આવશે નહીં અને સમય પર પગાર મળતો રહેશે.