વધુ એક સેલેબ્ઝના ડિવોર્સ! ‘મહાભારત’ના ક્રિષ્નાએ બીજી વાર લીધા છૂટાછેડા

18 January, 2022 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા નીતીશ ભારદ્વાજે સપ્ટેમ્બર ૨૦૧૯માં જ ડિવોર્સ ફાઇલ કરી દીધા છે, IAS ઓફિસર સ્મિતા ગેટ સાથેના બાર વર્ષના સંબંધનો આવશે અંત

નીતીશ ભારદ્વાજની ફાઇલ તસવીર

‘મહાભારત’ (Mahabharat) ફેમ અભિનેતા નીતીશ ભારદ્વાજ (Nitish Bharadwaj) લગ્ન જીવનના બાર વર્ષ બાદ બીજી પત્ની આઇએએસ ઓફિસર (IAS Officer) શ્રીમતી સ્મિતા ગેટ (Smt. Smita Gate)થી અલગ થઇ ગયા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં જ આ દંપતી અલગ થઇ ગયા છે. તેમને જોડિયા દીકરીઓ છે, જેઓ હાલમાં તેમની માતા સાથે ઈન્દોરમાં રહે છે.

બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં છૂટાછેડા વિષે વાત કરતા નીતીશ ભારદ્વાજે કહ્યું હતું કે, ‘હા, મેં સપ્ટેમ્બર ૨૦૧૯માં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. અમે શા માટે અલગ થયા તે કારણો હું જણાવવા માંગતો નથી. મામલો અત્યારે કોર્ટમાં છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે કેટલીકવાર છૂટાછેડા મૃત્યુ કરતાં વધુ પીડાદાયક હોઈ શકે છે. કારણકે એ બાબત તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહે છે.’

લગ્ન વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા નીતીશ ભારદ્વાજે કહ્યું કે, ‘હું લગ્નમાં દ્રઢ વિશ્વાસ રાખું છું, પણ હું કમનસીબ રહ્યો છું. સામાન્ય રીતે, લગ્ન તૂટવાના કારણો અનંત હોઈ શકે છે, કેટલીકવાર તે બેકાબૂ વલણ અથવા લાગણીના અભાવને કારણે હોય છે અથવા તે અહંકાર અને સ્વ-કેન્દ્રિત વિચારસરણીનું પરિણામ હોઈ શકે છે. પરંતુ જ્યારે એક કપલના છૂટાછેડા થાય છે ત્યારે સૌથી વધુ પીડાય છે બાળકો. તેથી ડિવોર્સ બાદ માતા-પિતાની જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે તેમના બાળકોને ઓછામાં ઓછું નુકસાન થાય અને તેમના જીવન પર ઓછી અસર પડે.’

અભિનેતાને જ્યારે પુછવામાં આવ્યું કે તે તેની દીકરીઓના નિયમિત સંપર્કમાં છે તો ત્યારે તેને જવાબ આપ્યો કે, ‘હું તેમને મળવા સક્ષમ છું કે નહીં તે અંગે હું મારી ટિપ્પણીઓ અનામત રાખવા માંગુ છું.’

તમને જણાવી દઇએ કે, નીતીશ ભારદ્વાજે બે વાર લગ્ન કર્યા છે અને તેઔ ચાર બાળકોના પિતા છે. નીતીશે ૨૮ વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન કર્યા હતા. તેણે ૨૭ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ વિમલા પાટીલની પુત્રી મોનિષા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો પણ હતા, એક દીકરો અને એક દીકરી. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને વર્ષ ૨૦૦૫માં તેમના છૂટાછેડા થઈ ગયા. નીતિશ અને મોનિષાના અલગ થયા બાદ તેમના બાળકો તેમની માતા સાથે લંડનમાં રહેવા લાગ્યા.

આ પણ વાંચો : લગ્નના ૧૮ વર્ષ બાદ છૂટા પડવાનો અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતનો નિર્ણય

મોનિષાથી અલગ થયાના લગભગ ત્રણ વર્ષ પછી એટલે કે વર્ષ ૨૦૦૮માં નીતીશે બીજી વાર સ્મિતા ગેટ સાથે લગ્ન કર્યા. સ્મિતાના પણ આ બીજા લગ્ન હતા અને તેણે તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા. સ્મિતા મધ્ય પ્રદેશ કેડરની ૧૯૯૨ બેચની IAS ઓફિસર છે. બન્ને પહેલીવાર પુણેમાં મળ્યા હતા અને પછી મધ્યપ્રદેશમાં મિટિંગ માટે ગયા હતા. બન્ને શરુઆતમાં સારા મિત્રો હતા. પછી એક ફેમેલિ ફ્રેન્ડે લગ્ન કરવાનું સુચન આપ્યું અને તેમણે વર્ષ ૨૦૦૮માં લગ્ન કરી લીધા હતા. બન્નેને બે જુડવા દીકરીઓ છે. હવે આ બન્નેના પણ છૂટાછેડા થઇ રહ્યાં છે. તયારે દીકરીઓ માતા સ્મિતા સાથે ઈન્દોરમાં રહે છે.

entertainment news television news mahabharat