મને જોરૂ કા ગુલામ બનવામાં ખુશી મળે છે

22 July, 2026 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજીવ ખંડેલવાલે પત્ની મંજરી સાથેના સંબંધ વિશે દિલથી વાત કરતાં કહ્યું કે પ્રેમમાં અહંકારને સ્થાન નથી. પત્ની માટે ચા બનાવવાથી લઈને નાનાં-નાનાં કામ કરવામાં તેને ખુશી મળે છે અને ‘જોરૂ કા ગુલામ’ બનવું પણ તેને ગૌરવની વાત લાગે છે.

રાજીવ ખંડેલવાલ અને મંજીરી કામતિકર

રાજીવ ખંડેલવાલે પત્ની સાથેની રિલેશનશિપ વિશે કહ્યું કે અમારા સંબંધમાં અહંકારને કોઈ સ્થાન નથી

ઍક્ટર અને હોસ્ટ રાજીવ ખંડેલવાલે ૨૦૧૧માં પોતાની ગર્લફ્રેન્ડ મંજરી કમાટીકર સાથે લગ્ન કર્યાં હતાં. હાલમાં રાજીવે રિયલિટી શો ‘તુમ હો ના, ઘર કી સુપરસ્ટાર’માં પોતાના પત્ની સાથેના સંબંધો વિશે દિલને સ્પર્શી જાય એવી વાતો શૅર કરી છે. રાજીવે જણાવ્યું કે પત્ની મંજરી માટે પ્રેમથી નાનાં-નાનાં કામ કરવામાં તેને સાચી ખુશી મળે છે અને સંબંધમાં અહંકાર કરતાં પ્રેમને વધુ મહત્ત્વ આપવું જોઈએ અને મતભેદ થાય ત્યારે સમય બગાડવાને બદલે તરત જ સંબંધ સુધારી લેવો જોઈએ. 
આ શોમાં જ્યારે સ્પર્ધકે રાજીવ ખંડેલવાલને પૂછ્યું કે શું તે પોતાની પત્ની મંજરીથી ડરે છે?  તો જવાબમાં રાજીવે કહ્યું હતું કે ‘હું એ અર્થમાં ડરતો નથી કે ભયમાં જીવું છું. હું તેને પ્રેમ કરું છું. જેને પ્રેમ કરીએ છીએ તેના પ્રત્યે એક અલગ જ પ્રકારની માનની લાગણી હોય છે.’  આ પછી જ્યારે સ્પર્ધકે પૂછ્યું કે તે પત્ની માટે શું કરે છે ત્યારે રાજીવે હળવાશથી કહ્યું હતું કે ‘તમે એ પૂછવા માગો છો કે હું કેવી રીતે તેની ‘ગુલામી’ કરું છું? મારી આ ‘ગુલામી’ તેના માટે એક કપ ચા બનાવવાથી શરૂ થાય છે. જો તે ઘરે હોય તો હું તેના માટે નાસ્તો બનાવું છું. સાંજે પણ તેના માટે ચા બનાવું છું, કારણ કે તેને મારા હાથની ચા ખૂબ ગમે છે. મને એક વાત સમજાઈ છે કે તમે જેટલો પ્રેમ આપો છો, સામેની વ્યક્તિ પણ એટલી જ નજીક આવતી જાય છે. આ કોઈ ગુલામી નથી, પણ પ્રેમથી કરેલાં આ નાનાં કામોમાં જે શાંતિ, સુખ અને સંતોષ મળે છે એ શબ્દોમાં કહી શકાય એમ નથી. મંજરી માટે ‘જોરૂ કા ગુલામ’ બનવામાં મને ખુશી મળે છે.’

rajeev khandelwal entertainment news television news indian television telly celebrity news tv show