સલમાન ખાન અને સંજય દત્તને લૉક અપનો ઘણો અનુભવ છે તો શું તમે તેમને રિયલિટી શોમાં લાવશો?

24 June, 2026 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘લૉક અપ 2 : સચ યા સઝા’ના લૉન્ચિંગ વખતે પત્રકારે આવો સવાલ કર્યો ત્યારે શોના હોસ્ટ રિતેશ દેશમુખનો પારો ચડી ગયો

ખાર-વેસ્ટમાં મિલર હાઉસ ખાતે સોમવારે યોજાયેલી ‘લૉક અપ 2 : સચ યા સઝા’ની લૉન્ચ-ઇવેન્ટમાં રિતેશ દેશમુખ અને ફારાહ ખાન.

રિતેશ દેશમુખ રિયલિટી શો ‘લૉક અપ’ની બીજી સીઝન ‘લૉક અપ 2 : સચ યા સઝા’માં ફારાહ ખાન સાથે હોસ્ટ તરીકે જોવા મળશે. સોમવારે આ શોની લૉન્ચ-ઇવેન્ટ યોજવામાં આવી હતી. આ ઇવેન્ટમાં હોસ્ટ રિતેશ દેશમુખ પણ હાજર રહ્યો હતો. ઇવેન્ટમાં એક રિપોર્ટરે રિતેશને સલમાન ખાન અને સંજય દત્ત સાથે જોડાયેલો એક વિવાદાસ્પદ સવાલ પૂછ્યો અને આ સવાલ સાંભળતાં જ રિતેશ દેશમુખનો પારો ચડી ગયો હતો.

રિપોર્ટરે રિતેશ દેશમુખને સવાલ કરતાં કહ્યું હતું કે ‘તમારા સૌથી નજીકના લોકો સલમાન ખાન અને સંજય દત્તને લૉક અપનો ઘણો અનુભવ છે તો શું તમે તેમને લૉક અપમાં લાવશો અને તેમને શું સજા આપશો?’

રિતેશે આ સવાલનો આકરો જવાબ આપતાં કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો મને લાગતું નથી કે હું તમારા સવાલનો જવાબ આપીને એને મહત્ત્વ આપવા ઇચ્છું છું. આ તમારો સવાલ છે અને મારે એનો જવાબ આપવો નથી.’

આ પછી રિપોર્ટરે ફરી આગ્રહપૂર્વક કહ્યું કે આ એક સીધો સવાલ છે અને પૂછ્યું કે ‘શું સલમાન ખાન અને સંજય દત્ત ક્યારેય શોમાં આવશે?’ તો રિતેશે આ સવાલનો જવાબ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

નેટફ્લિક્સ પર ૨૭ જૂનથી જોવા મળશે આ શો.

tv show netflix farah khan riteish deshmukh entertainment news indian television television news