ટીવીના 'રામ-સીતા' ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જી કોરોના સંક્રમિત

30 September, 2020 06:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીવીના 'રામ-સીતા' ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જી કોરોના સંક્રમિત

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

એક બાજુ દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે. તો બીજી બાજુ ટીવી સેલેબ્ઝમાં પણ કોરોનાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. હવે વધુ બે ટીવી સેલેબ્ઝ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ટીવીના 'રામ-સીતા' ગુરમીત ચૌધરી (Gurmeet Choudhary) અને દેબીના બનર્જી (Debina Bonnerjee) કોરોના સંક્રમિત થયા છે. કપલે સોશ્યલ મીડિયા દ્વારા આ બાબતની જાણ કરી છે. બન્ને હૉમ ક્વૉરન્ટીન છે અને જરૂરી સાવચેતી રાખી રહ્યાં છે.

ગુરમીત ચૌધરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું તે અને દેબીના બન્ને કોરોના પૉઝિટિવ છે. તેણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'મારી વાઈફ દેબીના અને હું COVID-19 પૉઝિટિવ આવ્યા છીએ. સારા નસીબે અમે ઠીક છીએ અને હૉમ આઈસોલેશન દરમ્યાન બધી જરૂરી સાવચેતીઓ રાખી રહ્યા છીએ. અમે અમારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ધ્યાન રાખવા માટે અપીલ કરીએ છીએ. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.'

ટુંક સમયમાં ગુરમીત ચૌધરી ફિલ્મ 'ધ વાઈફ'માં જોવા મળશે. લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું જે જયપુરમાં ફરી શરૂ થયું હતું. શૂટિંગ પૂરું કરીને ગુરમીત 17 સપ્ટેમ્બરે મુંબઈ પરત ફર્યો હતો. સુત્રોએ આપેલી માહિતી મુજબ, ગુરમીત અને દેબીના ટૂંક સમયમાં ગોવા જવાની તૈયારી કરી રહ્યાં હતાં. પણ કોરોના પૉઝિટિવ આવ્યા બાદ પ્લાન બદલવો પડ્યો.

તમને જણાવી દઈએ કે, ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જી 2008માં ટેલિકાસ્ટ થયેલા દંગલ ટીવીના શો 'રામાયણ'માં 'રામ-સીતા'ની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ શોથી બન્નેને ઘણી પોપ્યુલારિટી મળી હતી. શોના ત્રણ વર્ષ બાદ બંનેએ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ સાથે ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' અને 'પતિ પત્ની ઔર વો'માં પણ જોવા મળ્યા હતાં.

coronavirus covid19 entertainment news indian television television news gurmeet choudhary debina bonnerjee ramayan