09 November, 2021 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ માધવાણી
એમ્મી નૉમિનેટેડ સિરીઝ ‘આર્યા’નો ફિલ્મમેકર રામ માધવાણી હવે જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર સિરીઝ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. એનું નામ ‘ધ વેકિંગ ઑફ અ નેશન’ રાખવામાં આવ્યું છે. ૧૯૧૯ની ૧૩ એપ્રિલે જલિયાંવાલા બાગની ઘટના ઘટી હતી. અમ્રિતસરમાં આવેલા જલિયાંવાલા બાગ વિસ્તારમાં ભારતને આઝાદી અપાવવાની ચળવળમાં ભાગ લેવા માટે અનેક લોકો એકઠા થયા હતા. બ્રિગેડિયર જનરલ ડાયરે એ વિસ્તારની બહાર જવાનો રસ્તો બંધ કરી દીધો હતો અને એ ખુલ્લેઆમ ગોળીબાર કર્યો હતો. એને કારણે કેટલાય લોકો મૃત્યુ પામ્યા અને કેટલાય જખમી થયા હતા. આ સિરીઝનો ફાઇનલ ડ્રાફ્ટ બે મહિનામાં તૈયાર થઈ જશે. એવામાં કેટલાય ગ્લોબલ સ્ટ્રીમરે આ સિરીઝને પોતાના પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવા માટે રામ માધવાણીનો સંપર્ક પણ કર્યો છે. એ ઘટનાને લઈને હવે સિરીઝ બનાવવા વિશે રામ માધવાણીએ કહ્યું હતું કે ‘આ ૬ અથવા ૭ પાર્ટની સિરીઝ રહેશે. એમાં એ આયોગની ચર્ચા હશે. એથી કોર્ટ કેસની સાથે એ ઘટના પર પણ પ્રકાશ પાડવામાં આવશે. કેવી રીતે એની શરૂઆત થઈ અને બાદમાં શું થયું. મારા મુજબ એ દિવસ ખૂબ અગત્યનો છે, કારણ કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ કેવી રીતે થયો? મને લાગે છે કે આપણામાંથી ઘણા લોકોને એ જાણ નથી કે એ શું કામ થયું હતું?’