06 March, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિવેક બહુ મહત્ત્વનો છે. વ્યવહારની દૃષ્ટિએ આપણે ત્યાં જે વિવેકી લોકો હોય એ આપણને ગમે અને આપણે પણ તેમની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરીએ. વિવેકની સામે અવિવેક કોઈ કરવા જાય તો એ અવિવેકીનું અપમાન થાય છે, વિવેકીનું નહીં. માણસ પોતે ભૂંડો લાગે એટલે વ્યાવહારિક જીવનમાં પણ વિવેક અને આધ્યાત્મિક જીવનમાં પણ નિત્યાનિત્ય વસ્તુ વિવેક. બીજી મહત્ત્વની વાત એ ધૈર્ય. આજે દુનિયામાં સમસ્યાઓ વધી છે એવું નથી, ધીરજ ઘટી છે.
આજથી પચાસ વર્ષ પહેલાં આપણું જે જીવન હતું એની તુલનામાં આજે જીવનધોરણ ઘણું ઊંચું ગયું છે. સગવડો વધી. આરોગ્યને લગતી સેવાઓ પણ કેટલી વધી. ટ્રાન્સપોર્ટેશન હોય, કમ્યુનિકેશન હોય, રહેવાની વાત હોય, દરેક રીતે પચાસ વર્ષ પહેલાં સમાજમાં જે સગવડો હતી એનાથી અત્યારે અનેકગણી વધારે છે. એટલે જીવનસ્તર નિશ્ચિતપણે ઊંચું ગયું છે, પણ સંતોષની માત્રા ઘટી હોય એવું નથી લાગતું?
પચાસ વર્ષ પહેલાંના માણસના જીવનમાં જે સંતોષ હતો એવો આજે નથી. અત્યારે ઇન્ટેલેક્ટની દૃષ્ટિએ IQ ખૂબ ઊંચો ગયો છે, પણ લાગણીની દૃષ્ટિએ વાત કરીએ તો ધીમે-ધીમે માણસ દરિદ્ર થતો જાય છે. એ વખતે ૧૪ કે ૧૫ વર્ષની ઉમરે દરિયો ખેડીને લોકો આફ્રિકા જતા અને ૧૪-૧૫ વર્ષની ઉંમરે વ્યાવહારિક જે મૅચ્યોરિટી આવી જતી હતી. એવી વ્યાવહારિક મૅચ્યોરિટી અત્યારે ત્રીસ-ત્રીસ વર્ષની ઉંમર સુધી નથી દેખાતી. બૌદ્ધિક રીતે પચાસ વર્ષ પહેલાંના સમાજ કરતાં અત્યારના છોકરાઓ ખૂબ આગળ છે તો ધીરજ ઘટી છે.
આચાર્ય મહાપુરુષો આપણને પ્રસાદમાં એ આપે છે. આશીર્વાદ આપે ને ચમત્કાર થાય અને દુઃખ જતું રહે એવા ચમત્કારમાં એ માણસ ફસાય જેનામાં ધીરજ નથી, જેને ભગવાનમાં પૂરો વિશ્વાસ નથી અને અહીં આપણે વિરામ આપીએ છીએ. ઠાકોરજીને શયન કરાવીને, ‘દૃઢ ઇન ચરણન કેરો ભરોસો.’
આ ભરોસો જ્યાં હોય ત્યાં માણસમાં ધીરજ આવે. ધીરજ ઘટી છે, દુઃખો નથી વધ્યાં. આપણી સહનશીલતા ઘટી છે.
મહાપ્રભુજીનો, શ્રીઠાકોરજીનો આશ્રય હોય એનાથી વધીને બીજું કયું મજબૂત પરિબળ માણસના જીવનમાં હોઈ શકે? આવો દૃઢ જ્યાં વિશ્વાસ હોય કે પ્રભુ સર્વસમર્થ છે. શ્રીમદ્ ભાગવતમાં તો કુંતામાતાએ ચમત્કાર થાય અને મારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય એવું ક્યારેય કહ્યું નથી. દુઃખ પ્રત્યે અભાવ પણ બરાબર નહીં. પ્રાણીમાત્રની એ ઇચ્છા હોય છે કે સૌને સુખ મળે. કુંતામાતાએ કહ્યું છે, સુખ મેં વાત દુઃખું મે મા ભૂતા. અહીં કુંતામાતા દુઃખ માગે છે એટલે દુઃખ માટે તેમને પ્રેમ છે એમ નહીં; પ્રેમ તો શ્રીકૃષ્ણ માટે છે, દ્વારકાધીશ માટે છે. પણ મા કુંતા કહે છે કે દુઃખના સમયમાં તમે દોડીને આવો છો અમારી ખબર લેવા, અમારી સંભાળ લેવા. અને આ દુઃખ જો તમારાં દર્શન કરાવતું હોય તો એ દર્શન કેવાં? અપૂર્વભવન દર્શનમ્.
વિચાર કરો કે આવા આચાર્ય પુરુષોનો અનુગ્રહ જો આપણા જીવનમાં ન હોત તો જીવન કેવું હોત? જેનાથી પ્રભુ રહે, પ્રભુનું સાન્નિધ્ય સતત અમને અનુભવાય એ જ જીવન દર્શન, પછી જીવનમાં દુઃખ હોય કે સુખ.
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા