મકરંદ દવેનો જન્મ ગોંડલમાં થયેલો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા અભ્યાસને પડતો મૂક્યો હતો. તેમની કવિતાઓમાં પરમ અનુભૂતિનો સ્પર્શ આપણને થાય છે, તે તેમના ગુરુ નાથાલાલ જોશીને લીધે. તેમના સહવાસે મકરંદભાઈએ આત્મ તરફની યાત્રા આરંભી. લેખિકા કુન્દનિકા કાપડિયા સાથે લગ્ન બાદ તેઓએ વલસાડના ધરમપુર ખાતે નંદીગ્રામની સંકલ્પના સાકારીને આધ્યાત્મિકતાની ધૂણી ધખાવી. તેમણે કુમાર, ઉર્મિ નવરચના, સંગમ, પરમાર્થી વગેરે સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદનનું કામ પણ બખૂબી કર્યું.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
07 July, 2026 04:35 IST | Mumbai | Dharmik Parmar