27 May, 2026 01:47 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
૩ વિદ્યાર્થીઓ હતા. આ વિદ્યાર્થીઓનો એક મોટી સ્કૂલમાં ઇન્ટરવ્યુ હતો. બધી તૈયારીઓ કરીને વિદ્યાર્થીઓ તો પહોંચ્યા સ્કૂલમાં. સાક્ષાત્કારમાં બેઠેલા મહાનુભાવો સમક્ષ એક વિદ્યાર્થી હાજર થયો. તેને સવાલ પુછાયો : આઠની અંદર બીજા ૧૧ ભેળવીએ તો કેટલા થાય?
વિદ્યાર્થીએ જવાબ આપતાં કહ્યું : ત્રેવીસ.
નાપાસ! ૮ અને ૧૧ તો ૧૯ થાય. પેલાએ તો સીધું જ કહી દીધું કે ૨૩ થાય. નાપાસ! ગલત જવાબ!
બીજો વિદ્યાર્થી ગયો. તેને પણ એ જ પૂછવામાં આવ્યું કે ભાઈ, આઠની અંદર જો ૧૧ ઉમેરવામાં આવે તો કેટલા થાય? પેલાએ જવાબ આપ્યો અને કહ્યું, ૨૧ થાય. ૮ અને ૧૧ તો ૧૯ થાય, ૨૧ ક્યાં થાય? નાપાસ. તે વિદ્યાર્થીને પણ નાપાસ કરીને બહાર મોકલી દેવામાં આવ્યો. હવે આવ્યો ત્રીજા વિદ્યાર્થીનો વારો.
તે ત્રીજો વિદ્યાર્થી પાસ થઈ ગયો. તેને પણ એ જ સવાલ પુછાયો હતો કે આઠમાં ૧૧ નાખીએ તો કેટલા થાય. તેણે પણ સાચો જવાબ નહોતો આપ્યો. તેણે કહ્યું હતું કે આઠમાં ૧૧ નાખીએ તો ૨૦ થાય અને એ પછી પણ તે પાસ થઈ ગયો. પાસ થઈને વિદ્યાર્થી બહાર આવ્યો. બહાર બધા ભેગા થયા હતા. બધા એકબીજાને પૂછે કે તેં શું જવાબ આપ્યો ને તેં શું જવાબ આપ્યો. પહેલાંએ કહ્યું કે મેં ૨૩ કહ્યું અને એ જવાબ ખોટો પડ્યો. બીજાએ કહ્યું કે મેં ૨૧ કહ્યા અને એ પણ જવાબ ખોટો પડ્યો. વારો આવ્યો ત્રીજાના જવાબનો. ત્રીજાએ કહ્યું, મેં ૨૦ કહ્યા. ૨૦ પણ ખોટો જવાબ હતો, પણ પેલા ત્રીજા વિદ્યાર્થીએ કહ્યું કે હું પાસ થઈ ગયો. એવું કેવી રીતે બને?
થવા જોઈએ ૧૯ અને આણે કહ્યા ૨૦, તો પછી તે પાસ કેવી રીતે થાય? બધા વિચારમાં હતા ત્યાં જ અંદર બેઠા હતા તે અધિકારી બહાર આવ્યા. બધાએ તેમને પૂછ્યું કે આ વિદ્યાર્થીએ પણ ખોટો જવાબ આપ્યો છે તો પછી તે પાસ કેવી રીતે થયો, ખોટો તો તે પણ છે.
અધિકારીએ કહ્યું કે તેનો જવાબ સત્યની વધારે નજીક છે. પહેલાએ ૨૩ કહ્યું જે સત્યથી વધારે દૂર છે, ૨૧ કહ્યું તેનો જવાબ સત્યથી થોડો દૂર છે; પણ ૨૦ જવાબ સત્યની સૌથી વધારે નજીક છે એટલે તેને પસંદ કર્યો.
જીવનમાં પણ આ જ વાતને સ્વીકારવી જોઈએ. આપણે સત્ય બરાબર જીવી ન શકતા હોઈએ ત્યારે એ સત્યની નજીક જઈ શકાય એટલું તો કરવું જ જોઈએ.