02 September, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )
એક જૂની વાર્તા છે. કદાચ તમે સાંભળી હશે.
કહેવાય છે કે એક મોટા જ્યોતિષી હતા. તેમની ભવિષ્યવાણી ક્યારેય ખોટી નહોતી પડતી. તે જે ભવિષ્યવાણી કરતા એ યોગ્ય સમયે સાચી જ ઠરતી. સમગ્ર સંસારમાં તે જાણીતા થઈ ગયા. સ્વાભાવિક છે કે કોઈ વધારે પ્રતિષ્ઠિત થાય તો ઘણા લોકો અકારણ ઈર્ષ્યા કરવા લાગે. તેમનું ક્ષેત્ર ન હોય તો પણ લોકો ઈર્ષ્યા કરે. આ તો વિશ્વવિખ્યાત જ્યોતિષી હતા. બે મિત્રોને થયું કે તેઓ એવું કંઈક કરે કે જ્યોતિષીની ભવિષ્યવાણી એક વાર પણ ખોટી પડે અને તેમની પ્રતિષ્ઠા ઘટી જાય, તેમની ખ્યાતિ ઘટે.
સફેદ કપડામાં એક નાનકડો કાળો ડાઘ લોકોની નજરમાં ચડવા પૂરતો છે. બન્ને મિત્રોએ બનાવી યોજના અને પછી તેઓ જ્યોતિષી પાસે પહોંચ્યા.
શિયાળાના દિવસો હતા. બન્નેએ શાલ ઓઢી હતી. એક જીવતું કબૂતર પોતાની શાલમાં પકડ્યું હતું. બીજો મિત્ર સાથે ચાલતો હતો. તેમણે એવી યોજના કરી હતી કે જ્યોતિષીને પૂછવું કે તેમની પાસે જે કબૂતર છે એ જીવતું છે કે મરેલું?
જો જ્યોતિષી કહે કે જીવતું છે તો ગળું ઘોંટીને મારી નાખવું અને બહાર કાઢીને બતાવવું કે જુઓ, મરી ગયું છે, તમારી ભવિષ્યવાણી ખોટી! જો જ્યોતિષી કહે કે મરી ગયું છે તો શાલમાંથી બહાર કાઢીને ઉડાડી દેવું અને કહેવું કે તમારી ભવિષ્યવાણી ખોટી છે.
બન્નેએ ખૂબ ચાલાકીભરી યોજના તૈયાર કરી હતી. જ્યોતિષી ખૂબ સરળ હતા. આવકાર આપ્યો અને બોલ્યા, ‘આવો, આવો... બેસો.’
પહેલો મિત્ર બોલ્યો, ‘અમે સાંભળ્યું છે કે આપ મોટા ભવિષ્યવેત્તા છો. આપની ભવિષ્યવાણી ક્યારેય ખોટી નથી પડતી એટલે અમે આવ્યા છીએ. તો કહો કે મારા મિત્રના હાથમાં જે કબૂતર છે એ જીવતું છે કે મરેલું?’
જ્યોતિષીએ બહુ અદ્ભુત જવાબ આવ્યો, ‘એ જીવતું છે કે મરેલું એ તો તમારા હાથમાં છે, કારણ કે તું મારવા ઇચ્છીશ તો એ મરી જશે, તું એને જીવતું રાખવા માગીશ તો જીવતું રહેશે કારણ કે તું કર્તા બનવા માગે છે.’
આ જે વાર્તા છે એ વાર્તા અનેક રીતે જીવનમાં લાગુ પડે છે. જીવનની પ્રગતિની ચાવી પણ આપણા હાથમાં હોય છે અને જીવનના સંબંધોની ચાવી પણ આપણા હાથમાં હોય છે. ગરદન મરડી તો સંબંધો ખતમ, ગરદન મૂકી દીધી તો સંબંધોનો જીવ બચી ગયો. બસ, નક્કી આપણે કરવાનું કે આયુષ્ય આપીને એ સંબંધને આગળ વધારવો છે અને સંબંધોમાં પ્રગતિ લાવવી છે કે પછી સંબંધોનું ‘રામ બોલો ભાઈ રામ કરી’ નાખવું છે.