26 June, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જટા મુકુટ સુરસરિત સિર લોચન નલિન બિસાલ
નીલકંઠ લાવણ્યનિધિ સૌહ બાબિધુ ભાલ
શિવપુરાણ અનુસાર શિવજીનું જે સકલ, સાકાર રૂપ છે, જે અવ્યયી છે, કલાસહિત રૂપ છે એને બેથી વધારે ભુજાઓ છે, ચરણ છે, મસ્તક છે, જટા છે, નેત્ર છે. આ શિવજીનું મહેશ્વર રૂપ છે. જે લિંગ છે એ શિવસ્વરૂપ છે. એ શિવનાં પાંચ કાર્યો છે.
પહેલું કાર્ય સૃષ્ટિ, બીજું કાર્ય સ્થિતિ, ત્રીજું કાર્ય સંહાર, ચોથું કાર્ય તિરોભાવ અને પાંચમુ કાર્ય અનુગ્રહ.
એ નિગુર્ણ, નિરાકાર, પ્રત્યક, ચૈતન્યાભિન્ન બ્રહ્મ જે શિવજીના નામથી ઓળખાય છે એ આ સૃષ્ટિનું કારણ છે. એટલે આ સૃષ્ટિ બનાવનારા જે ઉદ્ભવ કરે છે એને કાર્ય કહે છે અને આ સૃષ્ટિનું પાલન કરવું એને સ્થિતિ કહે છે. એક સમય આવે છે કે સૃષ્ટિનો વિનાશ કરી દે છે મહાદેવ. પ્રલયંકર-શિવજીનું સંહાર કરનારું જે સ્વરૂપ છે એનું નામ રુદ્ર છે અને તિરોભાવરૂપી કાર્ય કરનારું જે સ્વરૂપ છે એને મહેશ્વર કહે છે, પરંતુ અનુગ્રહ કરનારું જે સ્વરૂપ છે એ શિવ છે.
શિવજીની કૃપાથી જ બ્રહ્મા સૃષ્ટિરૂપ કાર્ય કરે છે, વિષ્ણુ સ્થિતિરૂપ કાર્ય કરે છે અને શિવજીનું જ વિભૂતિરૂપ રુદ્ર સંહારરૂપ કાર્ય કરે છે. શિવજીના વિભૂતિરૂપ મહેશ્વર તિરોભાવનું કાર્ય કરે છે, પણ અનુગ્રહ તો ફક્ત શિવજી જ કરે છે એટલા માટે શિવજી મોક્ષદાતા છે.
શિવ અને શિવા બન્ને જોવામાં અલગ છે, પરંતુ હકીકતમાં તો એક જ છે. જે રીતે વાણી અને એનો અર્થ ભિન્ન હોવા છતાં અભિન્ન છે. આપણે બોલીએ છીએ અને પછી કહીએ છીએ કે મારા કહેવાનું તાત્પર્ય એવું નહોતું. વાણી અને એનો અર્થ ભિન્ન હોવા છતાં અભિન્ન છે.
પાણી અને પાણીમાં ઊઠનારા તરંગો કહેવામાં તો બે છે પરંતુ હકીકતમાં એક જ છે. એમ જોવામાં તો શિવ અને શિવા બન્ને અલગ છે, પરંતુ હકીકતમાં એક જ છે. શિવ અને પાર્વતી આ જગતનાં માતા-પિતા છે.
શિવ અને ભવાની જ સંપૂર્ણ સૃષ્ટિનાં માતા-પિતા છે જે આ સૃષ્ટિના આદિનું કારણ છે. કારણનું કારણ કોણ છે? જેનું કોઈ કારણ નથી એ વાસ્તવિક કારણ છે. એટલે શિવને ઉત્પન્ન કરનારા કોઈ નથી.