કોઈ પણ પ્રકારનો નશો તન, મન અને ધનને બરબાદ કરનારો જ હોય છે

27 May, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણા દેશનું કેટલું દુર્ભાગ્ય છે કે એ પશ્ચિમી દેશોની ખરાબ ટેવોને ઝડપથી અપનાવી રહ્યો છે અને પોતાના દેશની સારી ટેવોને છોડી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

જનસાધારણના સ્વાસ્થ્યને બરબાદ કરનારાં દુર્વ્યસનોમાં નશાનું સેવન સર્વાધિક વ્યાપક છે અને એમાં પણ પ્રમુખપણે તમાકુ અને દારૂએ તો સર્વસાધારણને પોતાના સકંજામાં એવા ફસાવ્યા છે કે પેઢીની પેઢીઓ એમાં બરબાદ થઈ ચૂકી છે. તમાકુમાં ૪ પ્રકારના પદાર્થ હોય છે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે વિષનું કામ કરે છે – ૧. નિકોટીન ૨. કોલટાર ૩. આર્સનિક અને ૪. કાર્બન મૉનોક્સાઇડ અથવા કોલસાનો ગૅસ. 

નિકોટીનનું સેવન આપણી સંવેદનાત્મક ક્ષમતાઓને નબળી પાડે છે, બ્લડપ્રેશર વધારે છે, રક્તવાહિનીઓમાં રક્તનું કુદરતી પરિભ્રમણ ધીમું કરે છે જેથી પછી આપણી ત્વચા સુન્ન થઈ જાય છે અને આપણા શરીરમાં જુદી-જુદી જાતની ચામડીની બીમારીઓ ઉત્પન્ન થવા માંડે છે. એવી જ રીતે નિકોટીનનો ધુમાડો જીર્ણ ખાંસીનો રોગ પેદા કરે છે જે આગળ વધતાં-વધતાં દમ અને ટીબીનું રૂપ ધારણ કરી લે છે. બધાં જ પ્રાણીઓની સરખામણીમાં મનુષ્યને બુદ્ધિશાળી પ્રાણી કહેવાય છે પરંતુ પોતાની બુદ્ધિના અભિમાનમાં કુદરત વિરુદ્ધ વર્તન કરીને તે પોતાને જ નુકસાન પહોંચાડ્યા કરે છે. આ જ કારણે હાલના સમયમાં ભણેલા-ગણેલા, સભ્ય અને સંસ્કારી તથા હોશિયાર અને બુદ્ધિશાળી ગણાતા મનુષ્યો પણ સહેજમાં તમાકુ અને શરાબ જેવાં વ્યસનોમાં ફસાઈ જાય છે. જોકે તેઓ એને ફૅશન, શોખ અથવા તો એક પ્રકારનું મનોરંજનનું સાધન ગણાવે છે, પરંતુ વાસ્તવમાં એ તેમની કમજોરી હોય છે. તેઓ એ ભૂલી જાય છે કે કોઈ પણ પ્રકારનો નશો તન, મન અને ધનને બરબાદ કરનારો જ હોય છે. એનું સૌથી પહેલું કામ બુદ્ધિને ભ્રષ્ટ કરવાનું હોય છે. લોકો શરાબની સરખામણીએ સિગારેટ-બીડીને સાધારણ ગણે છે પરંતુ આ માન્યતા સાચી નથી, કારણ કે તમાકુ શરાબ કરતાં ઓછા ખર્ચે અને સહેલાઈથી મળી શકે છે તેથી એનું વ્યસન જલદી લાગે છે, અને આ જ કારણે ભારતીય સમાજમાં તમાકુનું વ્યસન બહુ વ્યાપકરૂપે ફેલાયેલું છે.

મનુષ્યને પરમાત્માએ બુદ્ધિ, વિવેક, તર્ક અને જ્ઞાનરૂપી શક્તિઓ કોઈક મહત્ત્વપૂર્ણ કાર્યો માટે ઉપયોગ કરવા માટે આપી છે પરંતુ જ્યારે એ બધી શક્તિઓ મનુષ્યના કલ્યાણને બદલે એનું અકલ્યાણ કરવામાં લાગે છે ત્યારે મનુષ્યની મૂર્ખતા સ્પષ્ટ થઈ જાય છે. આપણા દેશનું કેટલું દુર્ભાગ્ય છે કે એ પશ્ચિમી દેશોની ખરાબ ટેવોને ઝડપથી અપનાવી રહ્યો છે અને પોતાના દેશની સારી ટેવોને છોડી રહ્યો છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે આપણા જ વિદ્વાનોની શિખામણ સાંભળીને વિદેશીઓ દારૂ તેમ જ અન્ય વ્યસનોને ત્યજીને શુદ્ધ સાત્ત્વિક જીવન અપનાવી રહ્યા છે. આવા મહાન ભારત દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને છોડીને કોઈક બીજા દેશની સાંસ્કૃતિક પરંપરાને અનુસરીને આપણે પોતાની ભાવિ પેઢીને માટે કયું ઉદાહરણ બનાવી રહ્યા છીએ? આનો જવાબ તો આપણે પોતાની જાત પાસે જ માગવો પડશે.

- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી 

life and style culture news vaishnav community gujaratis of mumbai healthy living health tips