30 June, 2026 03:07 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શહેરી, શિક્ષિત અને શ્રીમંત આ ત્રણે શબ્દોનું સમાજમાં વજન છે. શહેરી શબ્દ સ્થાનિક વસ્તી અને વિસ્તાર સાથે જોડાઈ ગયો. શિક્ષિત શબ્દ પુસ્તકિયા જ્ઞાન, ડિગ્રી અને પોસ્ટ સાથે જોડાઈ ગયો. શ્રીમંત શબ્દ પૈસા સાથે જોડાઈ ગયો. જીવનશૈલીગત સભ્યતાને આ ૩ શબ્દો સાથે ખાસ નિસબત નથી.
વધતી ગરમી, લંબાતો ઉનાળો, ખેંચાતો વરસાદ અને પરિણામે મંડરાતી મોંઘવારી આ બધું અત્યારે અકળાવે છે. આપણને સ્વીકારવું અઘરું લાગશે પણ આ પરિસ્થિતિમાં ઉપરોક્ત ત્રણેય કક્ષાના લોકોનું યોગદાન અસાધારણ છે. આ જ લોકો પર્યાવરણ ભણે છે, ભોગવે છે અને બગાડે છે. ગ્રામીણ પ્રજા તો એને જાળવવા સિવાય બીજું ખાસ કંઈ કરી શકતી નથી. અમેરિકાના એક નાગરિકની ઍવરેજ કાર્બન ફુટપ્રિન્ટ વાર્ષિક ૧૬ ટન છે જે વિશ્વમાં સર્વાધિક છે. વૈશ્વિક વાર્ષિક વ્યક્તિગત કાર્બન ફુટપ્રિન્ટની સરેરાશ ૪ ટન છે. એમાં પણ ભારતના સરેરાશ નાગરિકની વાર્ષિક કાર્બન ફુટપ્રિન્ટ ૦.પ૬ ટન છે. આમાં પણ જે શહેરી શ્રીમંત છે એની સરેરાશ ૧.૩૨ ટન છે અને ગરીબ, ગ્રામીણ પ્રજાની સરેરાશ ૦.૧૯ ટકા છે.
શૈક્ષણિક અને સામાજિક ધોરણે વિકસિત ગણાતા લોકોની માનસિકતા કંઈક અલગ જ દરજ્જો ભોગવે છે. તેમની સોચ પણ કંઈક જુદી જ દિશા પકડે છે. ઍમૅઝૉનના ફાઉન્ડર જેફ બેઝોસનું તાજેતરનું નિવેદન છે કે વિશ્વમાં પાણીની જ્યારે તંગી દેખાવા લાગી હોય ત્યારે એવું નિયમન કરવું જોઈએ કે પાણી માણસને બદલે પહેલાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ વપરાવું જોઈએ. માણસોનો પાણીનો વપરાશ ન ઘટવાના કારણે AI એમ્પાવર્ડ ઇન્ટેલિજન્સનો વિકાસ અટવાય છે.
આગળ વધીને જેફ બેઝોસે ત્યાં સુધી કહ્યું કે ક્રાન્તિના આ યુગમાં AIની પ્રોજેક્ટેડ વિકાસયાત્રા વિક્ષેપ વગર ચાલતી રહે એ માટે કેટલાક જળસ્રોતોને માનવ-વપરાશ કરતાં AI-આધારિત વિકાસ માટે અનામત મૂકવા જોઈએ. એક બાજુ જળસંકટ યુગના ભણકારા વચ્ચે પાણીના વપરાશને રૅશનિંગ સિસ્ટમ પ્રમાણે મૂલવવો જોઈએ.
આપણા વિકાસ કરતાં પણ વિકાસ અંગેના આપણા ખ્યાલો વધારે ભયંકર છે. ચોક્કસ આવા વિધાન પાછળ કોઈ નક્કર વિચારધારા રહી હશે, પરંતુ જેના માટે વિકાસ કરવાનો હોય તેની બેઝિક જરૂરિયાતનાં સંસાધનોને પણ જડ પાછળની અગ્રતા જો પછાડી દેતી હોય તો પત્યું.
આપણી જીવનશૈલીમાં મોટા પાયે ફેરફારો કર્યા વગર વિશ્વ રહેવા લાયક નહીં રહે. ડાયાબિટીઝના દરદીની જો મીઠાઈ છોડવાની તૈયારી ન હોય, ચાલવાનો શ્રમ કરવાની ઇચ્છા ન હોય અને શુગર કન્ટ્રોલમાં લાવવી હોય તો એ જેમ અશક્ય છે એ જ રીતે હવે પકૃતિ અને પર્યાવરણની માત્ર વાતો કરવાથી કઈ વળે એમ નથી. એ બન્નેને માત્ર શિક્ષણના નહીં પણ જીવનશૈલીના વિષય બનાવવા પડશે. માણસે પોતાનો ચહેરો અરીસામાં જોવાનો સમય પાકી ગયો છે. પોતાનો ચહેરો અરીસામાં જોવાનું માણસ જો ટાળે તો ચોક્કસ એમ માની શકાય કે પોતાનો ચહેરો કદરૂપો થયાનું માણસે સ્વીકારી લીધું છે.