26 March, 2026 12:57 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મન કહ્યું નથી માનતું ને જોર કરે જંજાળ,
મનને જે બહુ માન આપે તે અંતે થાય કંગાળ
મનને તો માલિક થવાના
ઘણા અભરખા કોડ
આપણે આપણી આંખની સામે રાખવાના રણછોડ
આળપંપાળ છોડીને કર તું વિઠ્ઠલવરને વહાલ
મનને જે બહુ માન આપે તે અંતે થાય કંગાળ
મનના મૂળમાં અહંકાર
ને મનના કુળમાં આશા
તારે કંઠે સળગતી રહો
ૐ તણી જ પિપાસા
મનને રેઢું મેલી તું તો તારે મારગ ચાલ
મનને જે બહુ માન આપે તે અંતે થાય કંગાળ
કવિ સુરેશ દલાલની આ પંક્તિઓનો તાત્પર્યાર્થ સ્પષ્ટ છે. રખડુ છોકરાની સોબતે ચડનાર હોશિયાર વિદ્યાર્થી પણ જો પોતાની હોશિયારી અને કૌવત ગુમાવી જ બેસે છે, કડકાની દોસ્તી કરી બેસતો શ્રીમંત નબીરો પણ જો પોતાની શ્રીમંતાઈનું બારમું કરી જ નાખે છે તો મનના રવાડે જે પણ વ્યક્તિ ચડી જાય એ વ્યક્તિ પોતાની નિર્ભયતા, નિશ્ચિતતા અને નિશ્ચલતા એમ આ ત્રણ મૂડીને ગુમાવી જ બેસે છે.
યાદ રાખજો, મન સફળતાપ્રેમી તો છે જ પરંતુ એ સફળતા એને ટૂંકા રસ્તે જ જોઈએ છે અને એ ટૂંકો રસ્તો જો આઉટલાઇનનો હોય તો એનોયે એને કોઈ વાંધો નથી. આવા પળે-પળે રંગ બદલતા સફળતાપ્રેમી મનને જો તમે તમારા જીવનનું ચાલકબળ બનાવ્યું તો સમજી રાખવું કે જીવનનાં મૂલ્યવાન કહી શકાય એવાં શાંતિ-પ્રસન્નતા, આનંદ-નિર્ભયતાના અનુભવોથી તમે વંચિત રહી જ જવાના માટે સફળતાપ્રેમી મન પર કાબૂ હોવો અને એના ચાલક બનીને જીવવું હિતાવહ છે. જો મનને કાબૂમાં રાખતાં શીખી ગયા તો એના જેવું શ્રેષ્ઠ ચાકર કોઈ નથી અને ધારો કે એના પરથી કાબૂ હટાવી દીધો તો મન જેવો શયતાન બીજો કોઈ નથી.