02 May, 2026 01:45 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, શરીરમાં જ્યારે વિટામિન B અને Dની ઉણપ હોય તો તેને દૂર કરવાના નુસખા તમારા રસોડામાં જ છે.
તમે તમારી આજુબાજુ જોતા જ હશો કે.. એક યુવાન પ્રોફેશનલ સતત થાકની ફરિયાદ કરતો હોય! એક ગૃહિણી ઉદાસીનતા અને શરીરના દુખાવાથી પરેશાન હોય! એક કિશોર "સારું" ખાવા છતાં પણ અસાધારણ નબળાઈ અનુભવે હોય! જ્યારે આ તમામના બ્લડ રિપોર્ટ કરાવવામાં આવે છે, ત્યારે મોટાભાગે તેમાં એક સામાન્ય અને સમાન કારણ જોવા મળે છે—વિટામિન B (ખાસ કરીને B12) અને વિટામિન D ની ઉણપ.
ભારત માટે આ એક વિરોધાભાસ છે કે અહીં ખોરાકની વિવિધતા હોવા છતાં પોષક તત્વોની ભારે અછત જોવા મળે છે. આપણી થાળીઓ ભોજનથી ભરેલી હોવા છતાં, તેમાં મહત્વના સૂક્ષ્મ પોષકતત્વો (માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ) ખૂટે છે. આ ઉણપોમાં વિટામિન B12 અને વિટામિન D સૌથી વધુ વ્યાપક છે. જે ઉંમર, જીવનશૈલી અને આર્થિક સ્તરના ભેદભાવ વગર દરેક વર્ગમાં જોવા મળે છે.
વિટામિન B12 મુખ્યત્વે ડેરી ઉત્પાદનો, ઇંડા અને માંસ જેવા પ્રાણીજ ખોરાકમાં જોવા મળે છે. ભારતનો મોટો હિસ્સો શાકાહારી અથવા છોડ આધારિત આહાર લે છે, જેના કારણે કુદરતી રીતે જ તેમનામાં આ ઉણપનું જોખમ વધી જાય છે.
આ ઉપરાંત, આધુનિક ખેતી પદ્ધતિઓને કારણે જમીનની ગુણવત્તામાં થયેલા ઘટાડાએ પણ આ સમસ્યામાં વધારો કર્યો છે.
બીજી તરફ, વિટામિન D ને `સનશાઇન વિટામિન` તરીકે ઓળખવામાં આવે છે. વિરોધાભાસ એ છે કે, પુષ્કળ સૂર્યપ્રકાશ હોવા છતાં ભારતમાં આ વિટામિનની ઉણપનું પ્રમાણ ચિંતાજનક રીતે વધારે છે. શહેરી જીવનશૈલીએ લોકોને ઘરની અંદર રહેવા મજબૂર કર્યા છે, સનસ્ક્રીનનો ઉપયોગ સૂર્યપ્રકાશના શોષણને અટકાવે છે અને પ્રદૂષણ અસરકારક યુવી (UV) કિરણોના સંપર્કને ઘટાડે છે. પરિણામે, ઉષ્ણકટિબંધીય દેશ હોવા છતાં, વિટામિન D ની ઉણપ એક અપવાદને બદલે સામાન્ય બાબત બની ગઈ છે.
આ ઉણપની આડઅસરો આપણે ધારીએ છીએ તેના કરતા પણ વધુ ગંભીર હોય છે.
વિટામિન B12નું ઓછું પ્રમાણ સતત થાક, હાથ-પગમાં ઝણઝણાટી, યાદશક્તિમાં ઘટાડો અને ચિંતા કે ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ તરફ દોરી શકે છે. જો લાંબા સમય સુધી આ વિટામિનની ગંભીર ઉણપ રહે, તો તે ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.
વિટામિન Dની ઉણપને ઘણીવાર લોકો માત્ર સામાન્ય નબળાઈ માની લેવાની ભૂલ કરે છે. વાસ્તવમાં, તે કેલ્શિયમના શોષણ, હાડકાંની મજબૂતી, રોગપ્રતિકારક શક્તિ અને હોર્મોનલ સંતુલન (જેમ કે PCOD અને પ્રજનન ક્ષમતા) જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો આ વિટામિનની લાંબા ગાળાની ઉણપ રહે, તો તેનાથી હાડકાંમાં દુખાવો, વારંવાર ચેપ લાગવો, વાળ ખરવા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે.
શું આપણે આપણા રસોડામાંથી જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ? ચોક્કસપણે.
જોકે ગંભીર ઉણપ હોય તેવા કિસ્સાઓમાં ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલા સપ્લીમેન્ટ્સ લેવા અત્યંત જરૂરી છે, પરંતુ આપણી દૈનિક આહાર પદ્ધતિમાં થોડા ફેરફાર કરીને આ પોષક તત્વોની ખામીને દૂર કરવામાં લાંબે ગાળે ઘણી મોટી મદદ મળી શકે છે. મજબૂત પાયો બનાવવા માટે આપણા રોજિંદા ખોરાકમાં પૌષ્ટિક તત્વોનો સમાવેશ કરવો એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે.
દહીં, પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોનો તમારા રોજિંદા આહારમાં નિયમિતપણે સમાવેશ કરો.
ઘરે આથો લાવેલા ખીરાંમાંથી બનાવેલા ઇડલી, ઢોંસા અને ઢોકળા આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને શરીરમાં વિટામિન B ના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે.
આ ઉપરાંત, ફોર્ટિફાઇડ ફૂડ્સ એટલે કે વધારાના પોષક તત્વો ઉમેરેલા અનાજ (cereals) અને પ્લાન્ટ-બેઝ્ડ મિલ્ક પણ ઉપયોગી સાબિત થઈ શકે છે, જે ખાસ કરીને ચુસ્ત શાકાહારી લોકો માટે અત્યંત મદદરૂપ છે.
વહેલી સવારના સૂર્યપ્રકાશમાં સનસ્ક્રીન લગાવ્યા વગર ૧૫ થી ૨૦ મિનિટનો સમય વિતાવવો એ આ વિટામિન મેળવવાનો સૌથી અસરકારક અને કુદરતી સ્ત્રોત છે.
આ ઉપરાંત, તમારા આહારમાં ફોર્ટિફાઇડ દૂધ જેવા ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો જોઈએ.
વિટામિન D ના શોષણને વધુ બહેતર બનાવવા માટે તેના સ્ત્રોતોને તંદુરસ્ત ફેટ્સ અને કેલ્શિયમ ધરાવતા ખોરાક સાથે લેવા જોઈએ, જેથી શરીર તેનો મહત્તમ લાભ મેળવી શકે.
આંતરડાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ અત્યંત આવશ્યક છે, કારણ કે તમે કેટલું પોષણ લો છો તેની સાથે તમારું શરીર તે પોષક તત્વોનું કેટલું શોષણ કરે છે તે પણ એટલું જ મહત્વનું છે. તેથી, ખાતરી કરો કે પાચનતંત્ર અને આંતરડાનું સ્વાસ્થ્ય બરાબર રહે, જેથી તમે લીધેલા ખોરાકનો પૂરેપૂરો ફાયદો મળી શકે.
વાસ્તવિકતા એ છે કે, આ સમસ્યા માત્ર પોષણની ઉણપ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આપણી જીવનશૈલી સાથે જોડાયેલી છે. ઘણીવાર સ્વાસ્થ્યની મોટી સમસ્યાઓ આપણી નાની એવી બેદરકારી અને શરીર દ્વારા આપવામાં આવતા સંકેતોને અવગણવાથી જ શરૂ થતી હોય છે. શરીરના આ નાના-નાના સંકેતોને સમજીને જો યોગ્ય સમયે જીવનશૈલીમાં સુધારો કરવામાં આવે, તો ભવિષ્યની મોટી બીમારીઓથી બચી શકાય છે.
(શબ્દાંકનઃ રચના જોષી)