એક ચમચી પાઉડર = તમારું ભોજન?

23 July, 2021 12:53 PM IST  |  Mumbai | Jigisha Jain

યસ, આ મીલ રિપ્લેસમેન્ટ સપ્લિમેન્ટ્સ પાઉડર આજકાલ યુવાનોને બહુ આકર્ષી રહ્યા છે, કેમ કે ૨૦૧૮માં આ સપ્લિમેન્ટનું માર્કેટ ૧૬ અબજ ડૉલર જેટલું હતું જે હવે લગભગ દોઢગણું થવા જઈ રહ્યું છે.

વર્ષો પહેલાં શરીરને જરૂરી બધાં જ તત્ત્વોની ગોળીઓ મળવા લાગી ત્યારે લોકો મજાકમાં એવું કહેતા કે એ દિવસ દૂર નથી જ્યારે જમવાની જરૂર જ નહીં પડે

યસ, આ મીલ રિપ્લેસમેન્ટ સપ્લિમેન્ટ્સ પાઉડર આજકાલ યુવાનોને બહુ આકર્ષી રહ્યા છે, કેમ કે ૨૦૧૮માં આ સપ્લિમેન્ટનું માર્કેટ ૧૬ અબજ ડૉલર જેટલું હતું જે હવે લગભગ દોઢગણું થવા જઈ રહ્યું છે. યંગસ્ટર્સ ઈઝી વેઇટલૉસ, ઈઝી ફિગર મેઇન્ટેનન્સના દાવાથી આકર્ષાય છે ત્યારે જાણીએ કે આવાં શૉર્ટકટ્સથી શું નુકસાન થાય છેઅને એ ન વાપરવામાં કેમ અકલમંદી છે

વર્ષો પહેલાં શરીરને જરૂરી બધાં જ તત્ત્વોની ગોળીઓ મળવા લાગી ત્યારે લોકો મજાકમાં એવું કહેતા કે એ દિવસ દૂર નથી જ્યારે જમવાની જરૂર જ નહીં પડે. જમવાની પણ પિલ આવશે. બસ, એક ગોળી ખાઈ લો એટલે જમવાની જરૂર જ નહીં. પણ હકીકત એ જ છે કે આપણે એ દિશામાં જ આગળ વધી રહ્યા છીએ. મીલ રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ્સ આજકાલ માર્કેટ ગજાવી રહી છે. ચિંતાનો વિષય એ છે કે યુવાનો વજન ઉતારવા માટે, ફરીથી શેપમાં આવવા માટે મીલ રિપ્લેસમેન્ટ શૉર્ટકટનો ઉપયોગ કરી રહ્યા છે. એક ચમચી પાઉડર પાણીમાં મેળવીને પી લો તો પછી જમવાની જરૂર જ નહીં પડે. જરૂરી બધું જ પોષણ એ એક ગ્લાસ શેકમાંથી મળી રહેશે એવો દાવો થાય છે. હેલ્ધી કે અનહેલ્ધીની ચિંતા કર્યા વગર, જમવાનું બનાવવાની પળોજણમાં પડ્યા વગર પાઉડર લીધો, એને પાણીમાં ભેળવી પી લીધો. બે મિનિટમાં પ્રોસેસ ખતમ અને તમે કામ પર પાછા લાગી શકો છો. એની આ સહુલિયતને લીધે જ યુવાનોમાં એ વધુ પૉપ્યુલર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

૨૦૧૮માં ધ ગ્લોબલ મીલ રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ્સની માર્કેટ સાઇઝ ૧૬.૧૦ બિલ્યન યુએસ ડૉલર્સ આંકવામાં આવી હતી અને એનો કમ્પાઉન્ડ ઍન્યુઅલ ગ્રોથ રેટ ૬.૫ ટકા ધારવામાં આવેલો હતો. ૨૦૨૫ સુધીમાં મીલ રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ્સની માર્કેટ સાઇઝ ૨૫.૦૨ બિલ્યન યુએસ ડૉલર્સ થઈ જશે એવું ગ્રૅન્ડ વ્યુ રિસર્ચના રિપોર્ટમાં બહાર આવ્યું છે. વધતી જતી વસ્તી ઉપરાંત ડાયાબિટીઝ, ઓબેસિટી, હાર્ટ ડિસીઝ, હૉર્મોનલ પ્રૉબ્લેમ અને એવા લાઇફસ્ટાઇલ ડિસીઝને કન્ટ્રોલ કરવા માટે વજન ઘટાડવું એ સૌથી મોટી જરૂરિયાત છે અને એના માટે શૉર્ટકટ રૂપે આ મીલ રિપ્લેસમેન્ટ ઇન્ડસ્ટ્રી જબરદસ્ત ફૂલીફાલી રહી છે.

મીલ રિપ્લેસમેન્ટ છે શું?

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો પાસે જમવાનો પણ સમય નથી હોતો ત્યાં હેલ્ધી ખોરાક બનાવવાનો કે એને પોષક તત્ત્વોથી ભરપૂર રાખવાનો તો સમય ક્યાંથી હોય? આ બધી તકલીફોમાંથી ફૂડ ઇન્ડસ્ટ્રીએ બહાર પાડી મીલ રિપ્લેસમેન્ટ ડાયટ.

ન્યુટ્રિશન સાયન્સ અત્યાર સુધીમાં એ સમજી ગયું છે કે વ્યક્તિએ દરરોજ કેટલું પ્રોટીન, કેટલાં કાર્બ્સ, કેટલાં વિટામિન્સ અને કેટલાં મિનરલ્સ લેવાં જોઈએ. આ ગણતરી મુજબનું પૂરતું પોષણ મળી રહે તો એનો શૉર્ટકટ એટલે જ મીલ રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ્સ.

આ મીલ રિપ્લેસમેન્ટ શેક ફક્ત ૨૦૦-૪૦૦ કૅલરી ધરાવતાં ફાઇબર, પ્રોટીન અને બીજાં જરૂરી ન્યુટ્રિશનને ભેગાં કરીને બનાવવામાં આવે છે જે ખાવામાં કે લેવામાં ખૂબ સરળ હોય છે. વળી એ પચવામાં પણ હળવાં હોય છે. મીલ રિપ્લેસમેન્ટ ડાયટમાં શું કરવાનું હોય છે એ સમજાવતાં ન્યુટ્રિવિટીનાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ કહે છે, ‘બજારમાં જેટલાં પણ બ્રૅન્ડેડ મીલ રિપ્લેસમેન્ટ્સ છે એમાં દિવસનાં બે મીલ એટલે કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાંથી કોઈ પણ બે મીલને રિપ્લેસ કરીને એની જગ્યાએ શેક, કુકીઝ કે બાર રેકમન્ડ કરવામાં આવે છે. એક મીલ ફક્ત તમારી પસંદનું હોય છે જેમાં તમે જે હેલ્ધી ખોરાક ઇચ્છો એ ખાઈ શકો છો. આ ત્રણ મીલની વચ્ચે જો તમને ભૂખ લાગે તો ૧૦૦ કૅલરી ગણાય એટલા જ સ્નૅક્સ ખાઈ શકાય. આ સિવાય વ્યક્તિએ ૩૦ મિનિટની એક્સરસાઇઝ કરવાની હોય છે અને ઘણું પાણી પીવાનું હોય છે. આ ડાયટ માટે એવું કહેવાય છે કે એ લેવાથી કોઈ પણ પ્રકારની ઊણપ રહેતી નથી.’

કહેવાતા ફાયદા શું?

જ્યારે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય કે ઉતાવળમાં હોય ત્યારે તે હંમેશાં ખાવાની ચૉઇસ ખોટી કરે છે. આ કન્ડિશનમાં તે બૅલૅન્સ્ડ ફૂડને બદલે અનહેલ્ધી ફૂડ જ ખાય છે. હવે જ્યારે એટલી જ ઝડપથી અને વગર કોઈ મહેનતે મીલ રિપ્લેસમેન્ટ શેક મળે તો એ વધુ જ હેલ્ધી સાબિત થાય છે. એ ફાસ્ટ છે પરંતુ ફાસ્ટ ફૂડ જેટલું અનહેલ્ધી નથી. ઘણી વાર વ્યક્તિ ઘરનું બનાવેલું જ ખાતી હોય છે પરંતુ ઘરે આપણે હંમેશાં બધું જ બૅલૅન્સ કરીને બનાવતા નથી જેથી કોઈને કોઈ પોષક તત્ત્વ છૂટી જાય છે. આમાં એ મળી જાય છે. એમાં કૅલરીઝ ખૂબ ઓછી હોય છે. એટલી જ કૅલરી હોય છે જેટલી દિવસ દરમિયાન તમને જરૂરી છે. આમ લો-કૅલરી ડાયટને કારણે વજન પણ ઊતરે છે. અમુક સ્ટડીઝ બતાવે છે કે મીલ રિપ્લેસમેન્ટ શેકને કારણે વજન જલદીથી ઊતરે છે. એમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાને કારણે ભૂખ પણ ઓછી લાગે છે. પેટ ભરેલું રહે છે.

નુકસાન ધાર્યું ન હોય એટલું

મીલ રિપ્લેસમેન્ટ શેક કે એવી જ બીજા પ્રોડક્ટ્સના ઉપયોગના શું નુકસાન છે એ જાણીએ કેજલ શેઠ પાસેથી

 મોટા ભાગના મીલ રિપ્લેસમેન્ટ શેકમાં શુગર, કૉર્ન સિરપ, હાઇડ્રોજિનેટેડ વેજિટેબલ ઑઇલ, આર્ટિફશ્યલ ફ્લેવર્સ, કેમિકલયુક્ત પ્રિઝર્વેટિવ્ઝ ઉમેરેલાં હોય છે. એમાં જે પણ પદાર્થો નાખવામાં આવે છે એ પ્રોસેસ્ડ થયેલા જ હોવાના, નૅચરલ નહીં.

 વળી એમાં જે વિટામિન્સ હોય એ પણ નૅચરલ નથી, ફોર્ટિફાઇડ એટલે કે બહારથી ઉમેરવામાં આવેલાં અને કેમિકલથી બનાવેલાં હોય છે. આ સિવાય આખી જિંદગી એ લઈ શકાતા નથી, કારણ કે ખોરાકનું રિપ્લેસમેન્ટ કઈ હોઈ જ ન શકે. જે પોષણ તમને એક કેળું ખાવાથી મળે એ પોષણ તમને કૅલ્શિયમની ટૅબ્લેટ આપી શકતી નથી એ યાદ રાખવું.

 એનાથી શૉર્ટ ટર્મ વેઇટલૉસ ગોલ પૂરા કરી શકાય છે પરંતુ કાયમી ગોલ્સ નહીં. આ મીલ રિપ્લેસમેન્ટથી તરત વજન ઊતરવા લાગે છે. પરંતુ સમજવા જેવી વાત એ છે કે આખી જિંદગી તો તમે એના પર રહેશો નહીં. જેવું તમે ખાવાનું શરૂ કરો એવું તરત જ વજન વધી જાય છે. જો તમને કાયમી વેઇટલૉસ જોઈતું હોય તો જરૂરી છે કે તમે તમારી જીવનશૈલી બદલો, ન કે મીલ રિપ્લેસમેન્ટ જેવા શૉર્ટકટ્સ અપનાવો.

 મીલ રિપ્લેસમેન્ટ તમારા ખાવાના ક્રેવિંગ્સને અટકાવતું નથી કે તમારી ખોરાકની ખોટી ચૉઇસને બદલાવતું પણ નથી. આમ લાંબા ગાળે તમને એ કોઈ ફાયદો આપતું નથી.

ક્યાંથી શરૂઆત થયેલી?

અમેરિકાની મેટ્રિકલ નામની કંપનીએ છેક ૧૯૫૯માં પહેલી વાર મીલ રિપ્લેસમેન્ટ શેક્સનો કન્સેપ્ટ રજૂ કર્યો હતો અને તેમને એટલી સફળતા મળેલી કે તેમણે પહેલા જ વર્ષે ૪૦ મિલ્યન ડૉલરની પ્રોડક્ટ્સ વેચી નાખેલી. એનું જોઈને પહેલાં પાંચ વર્ષમાં જ માર્કેટમાં લગભગ ૭૦૦ મીલ રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ્સ આવી ગયેલી. આ પ્રોડક્ટ ચેઇન માર્કેટિંગ દ્વારા વેચવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને એને કારણે જ એ અત્યારે પણ હિટ છે.

indian food health tips Jigisha Jain