11 February, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પ્રેગ્નન્સી એક એવી અવસ્થા છે જેમાં બાળકને જેટલી નૅચરલ પરિસ્થિતિમાં મોટું કરી શકાય એટલું સારું એમ માનવામાં આવે છે. એક સમય એવો હતો કે પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રી બીમાર પડતી હતી એ બીમારીમાં તે દરેક પીડા સહન કરતી રહેતી અને દવાઓ લેતી જ નહીં કારણ કે દવાઓની કોઈ ઊંધી અસર તેના બાળક પર ન થાય. પરંતુ આજકાલ એવું રહ્યું નથી. ઘણી સેફ દવાઓ માર્કેટમાં આવી છે. ડૉક્ટર્સને પૂછીને એ દવાઓ લઈ શકાય છે જેનાથી બાળકને નુકસાન થતું નથી. જો સ્ત્રીને અસ્થમા જેવો રોગ હોય તો પ્રેગ્નન્સીના ૯ મહિના એને મૅનેજ કરવું ખૂબ જ જરૂરી છે અને એના મૅનેજમેન્ટમાં ઇન્હેલર્સ એક સેફ ઑપ્શન છે.
સ્ત્રીઓમાં અસ્થમાનો સંબંધ તેમનાં હૉર્મોન્સ સાથે જોડાયેલો જોવા મળે છે. ઘણી સ્ત્રીઓને પ્યુબર્ટી વખતે જ અસ્થમા શરૂ થાય. ઘણાને મેનોપૉઝ વખતે બંધ થાય. ઘણી સ્ત્રીઓનો અસ્થમા પ્રેગ્નન્સી દરમિયાન વધુ વકરે અને ઘણાને એ દરમિયાન કોઈ જ તકલીફ ન રહે. અસ્થમા ધરાવતી સ્ત્રી પ્રેગ્નન્ટ બની શકે છે. બસ, ધ્યાન એ રાખવાનું છે કે એનું અસ્થમા મૅનેજમેન્ટ યોગ્ય ચાલુ રહે. થાય છે એવું કે જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ બને ત્યારે ગર્ભાશય મોટું થાય અને ઉપર ફેફસાં થોડાં દબાય છે. હવે જો તમને પહેલેથી અસ્થમાને કારણે શ્વાસમાં તકલીફ પડતી હોય તો શ્વાસની તકલીફ આ દબાણને કારણે વધશે. પ્રેગ્નન્સીમાં માનું ઑક્સિજન લેવલ પૂરતું હોવું ખૂબ જ જરૂરી છે. એ ઘટ્યું તો એની સીધી અસર લોહીના પરિભ્રમણ અને બાળકના વિકાસ પર પડે છે. એટલે અસ્થમાને કન્ટ્રોલમાં રાખવો જરૂરી છે. બીજું એ કે જો તમારો અસ્થમા મૅનેજ ન થયો હોય તો ડિલિવરી સમયે પણ જ્યારે કદાચ ઍનૅસ્થેશિયા આપવાની જરૂર પડે તો એને લઈને કૉમ્પ્લીકેશન થશે. દરદીને ભાનમાં આવતાં વાર લાગશે.
ઘણા ગાયનેકોલૉજિસ્ટ પણ આ ફૅક્ટ નથી જાણતા કે પ્રેગ્નન્સી દરમિયાન ઇન્હેલર્સ લઈ શકાય છે. હા, એ વાત સાચી કે એમાં સ્ટેરૉઇડ્સ હોય છે. આપણે ત્યાં સ્ટેરૉઇડનું નામ સાંભળતાં જ લોકો ગભરાઈ જાય છે. હકીકતે એ એક અતિ મહત્ત્વની દવા છે. હા, એની સાઇડ-ઇફેક્ટસ હોય પરંતુ એ કઈ રીતે અને કઈ પરિસ્થિતિમાં લેવામાં આવે છે એ મહત્ત્વનું છે. સ્ટેરૉઇડ દવાઓ ઇન્હેલર થકી લઈએ ત્યારે એ સીધી ફેફસાંમાં જાય છે, લોહીમાં નહીં એટલે એ બાળકને અસર કરતી નથી. વળી ઇન્હેલર થકી લેવાથી એનો માઇલ્ડ ડોઝ માના શરીરમાં જતો હોવાને કારણે એ ઘણી સેફ રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન તમે તમારા અસ્થમાને મૅનેજ વ્યવસ્થિત કર્યો હશે તો બાળકને કોઈ તકલીફ નહીં થાય અને ડિલિવરીમાં પણ તકલીફ નહીં થાય.