24 January, 2026 10:12 AM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે કે, કોલેસ્ટ્રોલ એટલે શું? દવા વગર પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય ખરું? માત્ર ખાવાની રીત-ભાત બદલવાથી કેટલો ફાયદો થાય છે?
ડૉ. રિશિતા બોચિયા જોષી કહે છે કે, ‘મારું કોલેસ્ટ્રોલ વધારે છે, મારે દવા લેવી નથી?’ – મારી પાસે ઘણા ક્લાયન્ટ્સ આ ચિંતા સાથે આવે છે, પરંતુ હું તેમને તેમના શરીર અને જીવનશૈલીને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી છે અને દવાઓ વિના કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવા માટે માર્ગદર્શન આપું છું. મારી ઇચ્છા એ જ છે કે, મારા વાચકો પણ દવા વગર કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે. સૌથી પહેલા તો એ સમજવાની જરુર છે કે, કોલેસ્ટ્રોલ શું છે?
કોલેસ્ટ્રોલ એક ચીકણો પદાર્થ છે જે શરીરમાં હોર્મોન, વિટામિન ડી અને કોષોની દિવાલ બનાવવા માટે જરૂરી છે. આપણું લીવર પોતે જ મોટાભાગનું કોલેસ્ટ્રોલ બનાવે છે.
હવે, કોલેસ્ટ્રોલની સમસ્યા ત્યારે થાય છે જ્યારે પ્રકાર અને પ્રમાણ બગડે.
કોલેસ્ટ્રોલમાં ત્રણ પ્રકાર હોય છે.
એચડીએલ શરીરના સફાઈ કર્મચારી તરીકે કાર્ય કરે છે. તે લોહીની નસોમાં જમા થયેલું વધારાનું કોલેસ્ટ્રોલ પાછું લીવર સુધી લઈ જાય છે. એટલે, એચડીએલ જેટલું વધારે એટલું સારું.
એલડીએલ લોહીની નસોમાં જમા થાય છે. જેના કારણે બ્લોકેજ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધે છે.
ટ્રાઇગ્લિસરાઇડ્સ (Triglycerides) એ એક પ્રકારની ચરબી (લિપિડ) છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ એ ફેટ છે જે શરીરમાં ત્યારે બને છે જ્યારે આપણે જરૂરિયાત કરતા વધારે કેલેરી લઈએ છીએ. કોલેસ્ટ્રોલના સ્તર તરફ બધાની નજર હોય છે પણ ટ્રાઇગ્લિસરાઇડ્સને નજરઅંદાજ કરી દે છે.
એક બાબત સમજો - ઉંચા Triglycerides + ઉંચું LDL = ફેટી લીવર અને હાર્ટ રિસ્ક
માત્ર ખાવાની રીત બદલાવથી દવા વગર પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
થાળીમાં શું લેવું અને કેટલું લેવું તેનું પ્રમાણ નક્કી કરો.
તમારા ભોજનમાં ફાઈબરનો સમાવેશ કરો.
ઘી કે તેલ બંધ કરવાની જરૂર નથી. બસ ઘી-તેલનો પ્રકાર અને માત્રા મહત્વની છે.
જમ્યા પછી ૧૦-૧૫ મિનિટ ચાલવાથી અનેક ફાયદા થાય છે. ચાલવું એ સરળ અને અસરકારક ઉપાય છે.
ઓછી ઊંઘ અને વધારે તણાવ કોલેસ્ટ્રોલ પર સીધી અસર કરે છે. ઊંઘ ઓછી અને વધારે તણાવ હોય તો કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે. સારી અને સરખી ઊંઘ મેટાબોલિઝમ સારું કરે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું કરે છે.
યાદ રાખજો, કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે દવા છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. પહેલા પ્લેટ, પગલાં અને પદ્ધતિ સુધારો ચોક્કસ પરિણામ બદલાશે.
(શબ્દાંકનઃ રચના જોષી)