01 August, 2026 12:55 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, નાભિમાં તેલ લગાવવાને અને સ્વાસ્થ્યને શું સંબંધ છે?
આજે સોશિયલ મીડિયા પર સ્ક્ર્રોલ કરતી વખતે તમને ઘણા હેલ્થ અને વેલનેસ ઈન્ફ્લુએન્સર્સ રાત્રે નાભિમાં તેલ લગાવવાની (નાભિ ચિકિત્સા) સલાહ આપતા જોવા મળશે. ચમકતી ત્વચાથી લઈને પાચનમાં સુધારો અને હોર્મોનલ બેલેન્સ સુધીના અનેક દાવાઓ સાથે આ પદ્ધતિ ખૂબ ઝડપથી લોકપ્રિય બની રહી છે.
નાભિમાં તેલ લગાવવાને હેલ્થ સાથે શું સબંધ છે? વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણ સમજીએ.
નાભિમાં તેલ લગાવવાનો આ વિચાર નવો નથી. આયુર્વેદ જેવા પરંપરાગત ભારતીય વિજ્ઞાનમાં નાભિને શરીરનું એક અત્યંત મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે, જે આંતરિક અંગો સાથે જોડાયેલું છે. પ્રાચીન માન્યતા અનુસાર અહીં તેલ લગાવવાથી શરીરને પોષણ મળે છે અને આંતરિક સિસ્ટમ બેલેન્સ થાય છે.
પરંતુ આજના આધુનિક યુગમાં સવાલ એ થાય છે કે — શું આ પદ્ધતિ ખરેખર એ જ રીતે કામ કરે છે જે રીતે પ્રમોટ કરવામાં આવે છે?
આયુર્વેદમાં નાભિને શરીરની ચેતના અને પ્રાણ ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાંથી શરીરની મુખ્ય નાડીઓ પસાર થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન નાળ (umbilical cord) દ્વારા જ બાળકને તમામ પોષણ મળે છે. જન્મ પછી આ જોડાણ બંધ થઈ જાય છે, પરંતુ તે જગ્યાએ નસ, રક્તવાહિનીઓ અને ટીશ્યુઝનું એક સમૃદ્ધ નેટવર્ક રહી જાય છે.
જ્યારે તમે નાભિ પર તેલ લગાવીને ઘડિયાળના કાંટાની દિશામાં હળવો મસાજ કરો છો, ત્યારે તે આપણા એન્ટેરિક નર્વસ સિસ્ટમ (Enteric Nervous System) - જેને શરીરનું "બીજું મગજ" કહેવામાં આવે છે, તેને ઉત્તેજિત કરે છે. આનાથી પેટના સ્નાયુઓ શાંત થાય છે, લોહીનું ભ્રમણ સુધરે છે અને આખા શરીરનો તણાવ ઘટે છે.
જોકે આ પદ્ધતિ કોઈ ગંભીર બીમારીનો કાયમી ઈલાજ નથી, પરંતુ નિયમિતપણે તેલ લગાવવાથી કેટલાક ચોક્કસ ફાયદા ચોક્કસ થાય છે.
નાભિની આસપાસ હૂંફાળું રાઈનું (Mustard Oil) કે તલનું તેલ (Sesame Oil) લગાવીને માલિશ કરવાથી પાચનતંત્ર સક્રિય થાય છે અને ગેસ કે પેટના અકડાઈ જવામાં રાહત મળે છે.
આયુર્વેદમાં સૂકી ત્વચા અને ફાટેલા હોઠ માટે નાભિમાં બદામનું તેલ કે દેશી ઘી નાખવાની સલાહ આપવામાં આવે છે, જે ત્વચાના શોષણ અને બ્લડ સર્ક્યુલેશન દ્વારા કામ કરે છે.
સોલર પ્લેક્સસ (Solar Plexus) વિસ્તાર પર હળવું દબાણ આવવાથી સ્ટ્રેસ હોર્મોન (Cortisol) નું સ્તર ઘટે છે, જેથી શાંત અને ઊંડી ઊંઘ આવે છે.
પીરિયડ્સ દરમિયાન નાભિ પર હૂંફાળું એરંડિયું (Castor oil) કે તલનું તેલ લગાવવાથી પેટના નીચલા ભાગના સ્નાયુઓને આરામ મળે છે અને દુખાવો ઘટે છે.
તેલ નાભિમાંથી સીધું જઈને કોઈ જાદુની જેમ તમારા પેટ કે લિવરમાં પહોંચી જતું નથી! આના ફાયદા માત્ર સ્થાનિક ટીશ્યુ હાઇડ્રેશન, ત્વચા દ્વારા થતા શોષણ અને ચેતા (Nerves) ના ઉત્તેજનથી મળે છે.
અઠવાડિયામાં ત્રણથી ચાર વાર રાત્રે સૂતા પહેલા ૨ થી ૩ ટીપાં તેલ લગાવવું મોટાભાગના વયસ્કો માટે એકદમ સલામત છે. પરંતુ આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:
બેક્ટેરિયા કે ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે તેલ લગાવતા પહેલા નાભિને હંમેશાં હળવા હાથે સાફ કરો.
ટી ટ્રી (Tea Tree) કે તજ (Cinnamon) જેવા તીવ્ર એસેન્શિયલ ઓઈલ્સ ક્યારેય સીધા ન લગાવો, તે સંવેદનશીલ ત્વચાને બાળી શકે છે. તેને હંમેશાં નાળિયેર કે બદામના તેલ સાથે મિક્સ કરીને જ વાપરો.
સરળ શબ્દોમાં કહીએ તો, આયુર્વેદની આ `નાભિ ચિકિત્સા` કોઈ સોશિયલ મીડિયાનો ભ્રમ નથી, પરંતુ પ્રાચીન માઇન્ડફુલનેસ અને આધુનિક શારીરિક વિજ્ઞાનનો એક સુંદર સમન્વય છે. આ એક સરળ, સુરક્ષિત અને જાતે કરી શકાય તેવી સેલ્ફ-કેર પદ્ધતિ છે.
(શબ્દાંકનઃ રચના જોષી)