જો રસી લઈ લેશો તો એનાથી સર્વાઇકલ કૅન્સરનો ૯૦ ટકા ખતરો ટળી શકે છે

18 June, 2024 09:41 AM IST  |  Mumbai | Dr. Suruchi Desai

આંતરરાષ્ટ્રીય ગાઇડલાઇન્સ મુજબ આ રસી સ્ત્રીને ૯-૧૧ વર્ષની અંદર લગાવવી જોઈએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૅન્સર શા માટે થાય છે અને એની પાછળનાં કારણો જાણવા અઘરાં છે, પરંતુ સર્વાઇકલ કૅન્સર એક એવો રોગ છે જેમાં આપણને કારણ ખબર છે. ૯૦ ટકા સર્વાઇકલ કૅન્સર થવા પાછળ હ્યુમન પૅપલૉમા વાઇરસ (HPV)નો હાથ છે જે વાઇરસ સેક્સ દરમ્યાન સ્ત્રીના શરીરમાં પ્રવેશે છે. આ વાઇરસના અમુક પ્રકાર કૅન્સર માટેનું કારણ બને છે જેના પરથી વૈજ્ઞાનિકોએ રસી શોધી કાઢી છે. આમ, સમજવા જેવી વાત એ છે કે કૅન્સરથી બચવા માટે કોઈ રસી હોઈ શકે નહીં, પરંતુ ૯૦ ટકા સર્વાઇકલ કૅન્સર હ્યુમન પૅપલૉમા વાઇરસને કારણે થતો રોગ છે અને કોઈ પણ વાઇરસ પર કાબૂ મેળવવા માટે રસીકરણ ઉપયોગી છે. આમ, આ રસી HPVથી થતા ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. હ્યુમન પૅપલૉમા વાઇરસને કારણે ફક્ત કૅન્સર નથી થતું, વજાઇનલ વોટ્સ જેવી તકલીફ પણ થઈ શકે છે. આ વોટ્સનો ઇલાજ તો છે, પણ જો એનું નિદાન ન થયું અને એ ઇલાજ વગર રહી ગયા તો એ વોટ્સ થકી પણ કૅન્સર થઈ શકે છે. આમ રસી જરૂરી છે.

જો રસી લઈ લેશો તો એનાથી સર્વાઇકલ કૅન્સરનો ૯૦ ટકાનો ખતરો ટળી શકે છે એમ કહી શકાય. અહીં એ સમજવું જરૂરી છે કે ૧૦ ટકા તો ખતરો રહેશે જ તો રસી લઈને શું કરવું છે, એમ ન સમજવું. કૅન્સરને કોઈ પણ રીતે જો ટાળી શકાય તો એનાથી સારું કશું નથી. આંતરરાષ્ટ્રીય ગાઇડલાઇન્સ મુજબ આ રસી સ્ત્રીને ૯-૧૧ વર્ષની અંદર લગાવવી જોઈએ. આપને ત્યાં આ ઉંમર ૧૧-૧૫ વર્ષની છે. ખાસ કરીને તેનાં લગ્ન થાય એ પહેલાં અથવા તો એ સેક્સ્યુલી ઍક્ટિવ થાય એ પહેલાં જ તેને આ રસી આપવી જરૂરી છે. આ રસી આ ઉંમર ગાળામાં લો તો બે જ ડોઝ લેવાના હોય છે ૦ અને ૨ એટલે કે જે દિવસે લો એના પછીના બે મહિને બીજો ડોઝ લેવો. જો ૧૫ વર્ષ પછી તમે આ રસી આપતા હો તો એના ત્રણ ડોઝ લેવા જોઈએ. ૦-૨ અને ૬ એટલે કે જે દિવસે આપો એના બે મહિના અને એના ૬ મહિના પછી ડોઝ રિપીટ કરવો જરૂરી છે. દરેક છોકરીઓએ આ રસી લેવી જ જોઈએ. બાળકો આ બાબતે જાગરૂક ન હોય તો માતા-પિતાએ સમજીને તેમને રસી અપાવડાવવી જોઈએ. જો સ્ત્રીની ઉંમર ૪૦ વર્ષની અને અમુક કેસમાં ૪૫ વર્ષની થઈ ગઈ હોય તો પણ રસી લઈ શકાય છે. જે સ્ત્રીઓ અત્યારે ૩૦-૪૦ વર્ષની છે તેઓ નાની હતી ત્યારે આ રસી શોધાઈ જ ન હતી એટલે તેમણે લીધી ન હોય તો અત્યારે એ લઈને પોતાને રક્ષણ આપી શકે છે. આ રસી લેવાનું નુકસાન છે જ નહીં, ફાયદો જ છે માટે લઈ લેવી જોઈએ. 

health tips cancer columnists gujarati mid-day