04 September, 2026 07:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દરેક જીવંત પદાર્થને ઇમોશન્સ એટલે કે લાગણીઓ હોય છે, પરંતુ એને સંપૂર્ણ રીતે જતાવી શકવાનું સુખ ફક્ત માણસ પાસે છે. પ્રાણીઓ પણ પોતાનાં ઇમોશન્સને જતાવી શકે છે, પરંતુ તેઓ જે રીતે જતાવે છે એ શબ્દરહિત અભિવ્યક્તિ હોય છે; જ્યારે માણસ શબ્દ સાથે અને શબ્દ વગર બન્ને રીતે પોતાની લાગણીઓને જતાવી શકે છે. સામાન્ય રીતે લાગણી ન અનુભવતા લોકો માટે બેદર્દ, પથ્થરદિલ કે રીઢા જેવાં ઉપનામો વપરાતાં હોય છે; પણ બહુ ઓછા લોકો જાણે છે કે જે લોકો લાગણી વ્યક્ત ન કરી શકે એટલે કે જેને અંગ્રેજીમાં લેક ઑફ એક્સપ્રેશન કહે છે એ પરિસ્થિતિ કોઈ ને કોઈ રોગ સાથે સંકળાયેલી હોય છે. લેક ઑફ એક્સપ્રેશન પાછળ આમ તો ૮૦થી ૧૦૦ જેટલા રોગો જવાબદાર હોઈ શકે છે.
લાગણીને વ્યક્ત કરવા આપણે જે પરિબળોનો ઉપયોગ કરીએ છીએ એમાં ફેશ્યલ એક્સપ્રેશન એટલે કે મોઢાના હાવભાવ પણ એક મહત્ત્વનું પરિબળ છે. જે વ્યક્તિને ફેશ્યલ પૅરૅલિસિસ થયો હોય તેને લેક ઑફ ફેશ્યલ એક્સપ્રેશન્સનો પ્રૉબ્લેમ હોય છે. ઑટિસ્ટિક બાળકો પણ લેક ઑફ એક્સપ્રેશનની તકલીફ ધરાવે છે. મોટી ઉંમરે થતા પાર્કિન્સન્સ ડિસીઝ અને વિલ્સન્સ ડિસીઝમાં પણ આ તકલીફ થાય છે જે વધતી જ જાય છે. આવી વ્યક્તિઓના ચહેરા પર કોઈ પણ જાતના ભાવ હોતા નથી. જોકે એનો અર્થ એ નથી કે તેમને કોઈ લાગણીઓ થતી નથી. તેઓ લાગણી મહેસૂસ કરે છે, પરંતુ એને મોઢાના હાવભાવ દ્વારા વ્યક્ત કરી શકતા નથી.
લાગણી અને એને વ્યક્ત કરવાની જે રીત છે એ આમ ૩ ભાગમાં સમજાવી શકાય. એમાં પહેલો ભાગ છે લાગણી અનુભવવી, પછી એને વ્યક્ત કરવી અને એના પછી એ લાગણીને અમલમાં મૂકવી. જેમ કે મને ભૂખ લાગી છે તો પહેલાં હું ભૂખનો અનુભવ કરીશ. પછી હું મને ભૂખ લાગી છે એ વ્યક્ત કરવા મારી મમ્મીને કહીશ કે મને ભૂખ લાગી છે અને ત્યાર બાદ હું જમવા બેસીશ એટલે કે મારી લાગણીને મેં અમલમાં મૂકી. કોઈ પણ પ્રકારનાં ઇમોશન્સનું કામ વ્યક્તિને મોશનમાં લાવવાનું એટલે કે ગતિમાં લાવવાનું છે. વ્યક્તિને આ ત્રણેયમાંથી કોઈ એક સ્ટેપમાં પણ જો પ્રૉબ્લેમ હોય તો તેને માનસિક અને શારીરિક રોગ હોઈ શકે છે. સાઇકોલૉજીની દૃષ્ટિએ જોઈએ તો પુરુષોમાં વધુ જોવા મળતી ઍન્ટિ-સોશ્યલ પર્સનાલિટી અને સ્ત્રીઓમાં વધુ જોવા મળતી બૉર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિઓને લેક ઑફ એક્સપ્રેશનનો પ્રૉબ્લેમ હોઈ શકે છે. ઘણા લોકો ડિપ્રેશનમાં હોય તેમને પણ ટેમ્પરરી આવી હાલત થઈ શકે છે. આ એક સમસ્યા છે એ સમજવું અને એને ઓળખી કાઢવી જરૂરી છે. એના પર તો જ કામ થઈ શકે છે.
-ડૉ. અશિત શેઠ