27 March, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૬૦ વર્ષ પછી પગના દુખાવા માટે બેસ્ટ કસરતો કઈ છે એ જાણી લો
૬૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી મોટા ભાગના લોકો પગના દુખાવાની, ઘૂંટણની તકલીફની અથવા સ્નાયુઓની નબળાઈની ફરિયાદ કરે છે. આનાથી તેમની ચાલવાની ગતિ ધીમી પડે છે અને તેઓ અન્યો પર નિર્ભર થવા લાગે છે. જોકે ફિટનેસ-નિષ્ણાતો કહે છે કે ‘ઉંમર વધવી એટલે હલનચલન બંધ કરવું એવું નથી. યોગ્ય પ્રકારની કસરતો દ્વારા આજીવન સ્વાવલંબી રહી શકાય છે. વૃદ્ધો માટે લો-ઇમ્પૅક્ટ કસરતો શ્રેષ્ઠ છે જે સાંધા પર વધુ દબાણ લાવ્યા વગર કામ કરે છે. આ કસરતો સંતુલન સુધારે છે અને પડી જવાનું જોખમ ઘટાડે છે.’
ચાલતા રહો
યસ, ચાલવું એ સૌથી સુરક્ષિત અને અસરકારક છે કારણ કે એ હૃદયના ધબકારા જાળવે છે અને માનસિક રીતે પણ તાજગી આપે છે.
વૉટર ઍરોબિક્સ
વડીલોની શારીરિક સ્થિતિને બહેતર બનાવી શકે એવી બીજી શ્રેષ્ઠ પદ્ધતિ છે વૉટર ઍરોબિક્સ અથવા સ્વિમિંગ. પાણીમાં શરીરનું વજન ઓછું લાગે છે જેને કારણે સાંધાના દુખાવાવાળા લોકો પણ સરળતાથી હલનચલન કરી શકે છે.
ચૅર યોગ
વડીલો જમીનને બદલે ચૅર પર બેસીને યોગના હળવા-હળવા સ્ટ્રેચિસ કરે એ પણ તેમની કરોડરજ્જુમાં અને પગની નસોમાં લોહીનો પ્રવાહ વધારે છે.
ચૅર સ્ક્વૉટ્સ
સ્નાયુઓની મજબૂતી માટે સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ પણ જરૂરી છે. વૃદ્ધોએ અઠવાડિયામાં બે વાર હળવા વજનનો અથવા પોતાના શરીરના વજનનો ઉપયોગ કરીને કસરત કરવી જોઈએ. જેમ કે ચૅર સ્ક્વૉટ્સ એટલે ખુરસી પરથી વારંવાર ઊભા થવું અને બેસવું. એ પણ હેલ્ધી સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ બની શકે.