અનિદ્રા દૂર કરવા મેલટૉનિનની ગોળી લેતા લોકો પર હાર્ટ-ફેલ્યરનું જોખમ વધારે

10 November, 2025 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના હાર્ટ અસોસિએશને ૧.૩૦ લાખ લોકો પર અભ્યાસ કરીને તારવ્યું છે કે...

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના હાર્ટ અસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના એક અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે મેલટૉનિન હૉર્મોનનો સંબંધ હાર્ટ-અટૅકની વધી રહેલી સંખ્યા સાથે હોઈ શકે છે.

મેલટૉનિન મગજની એક ગ્રંથિમાંથી નિર્મિત થતું હૉર્મોન છે જે માણસની ઊંઘને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. અનિદ્રાથી પીડાતા અસંખ્ય દરદીઓ દવા તરીકે આ હૉર્મોનનો ઉપયોગ કરે છે. જોકે ડૉક્ટરો મેલટૉનિનના વધતા વપરાશ સામે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.

અનિદ્રાથી પીડાતા ૧,૩૦,૦૦૦ જેટલા લોકો પર થયેલા આ અભ્યાસના તારણમાં એવું કહેવાયું છે કે સેફ માનવામાં આવતી મેલટૉનિનની દવાઓથી હૃદય પર માઠી અસર પડી શકે છે. આ અભ્યાસમાં એવું સૂચવાયું છે કે લાંબા ગાળાનો મેલટૉનિનનો ઉપયોગ

હાર્ટ-ફેલ્યર કે અકાળ અવસાનના રિસ્ક સાથે જોડાયો છે અને સામાન્ય લોકો કરતાં એક વર્ષથી વધુ સમયથી મેલટૉનિન લેતા લોકોમાં હાર્ટ-ફેલ્યરની શક્યતા ૯૦ ટકા વધારે રહે છે.

જોકે તબીબી ક્ષેત્રના કેટલાક નિષ્ણાતોએ એવો પણ મત દર્શાવ્યો હતો કે આ જ અભ્યાસ પરથી એવું પણ કહી શકાય કે હાર્ટની તકલીફ પહેલેથી જ હોવાથી વ્યક્તિ સૂઈ ન શકતી હોય એવું બની શકે છે અને ઊંઘ માટે તે મેલટૉનિનની ગોળીઓ લેતી હોય. એટલે કે અનિદ્રાની સમસ્યા ખરેખર તો લક્ષણ હોઈ શકે છે હાર્ટ-પ્રૉબ્લેમનું. અત્યારે સામાન્ય નજરે જોઈએ તો હાર્ટ-પ્રૉબ્લેમ ધરાવતા લોકોમાં ઊંઘની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે એ લોકો અનિદ્રાનો ઇલાજ શોધે છે, જેમ કે મેલટૉનિન. આ જ કારણોસર મેલટૉનિન લેવામાત્રથી હૃદયની સમસ્યા વધે છે સીધેસીધું અનુસંધાન ન બાંધી શકાય.

life and style lifestyle news healthy living health tips heart attack united states of america