મુંબઈમાં સ્વાઇન ફ્લુના કેસમાં વધારોઃ નિષ્ણાતોના મતે આ છે મૂળ કારણ

08 August, 2022 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્વાઇન ફ્લુ વાયરસ હંમેશા હાજર હોય છે, પણ બહુ થોડા લોકો નિયમિત સમયાંતરે એનો ભોગ બને છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

વર્ષ 2009-10ની મહામારી પછી અત્યાર સુધી મુંબઈમાં સ્વાઇન ફ્લુ (Swine Flu Cases in Mumbai) ધરાવતા દર્દીઓમાં સૌથી વધુ વધારો થયો છે. કેટલાક ફિઝિશિયન્સ હોસ્પિટલમાં નિયમિત રીતે 8થી 10 સ્વાઇન ફ્લુના કેસ જુએ છે. સ્વાઇન ફ્લુ એર આરએનએ વાયરસ છે, જે ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ ફેમિલી સાથે સંબંધિત છે. આ "સ્વાઇન ફ્લુ" તરીકે જાણીતો છે, કારણ કે વાયરસના રેપ્લિકેશનમાં ભૂંડ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ભારતમાં શિયાળાની સિઝન આ બીમારી માટે સૌથી વધુ સામાન્ય છે, છતાં આ બીમારી ભેજ અને તાપમાનમાં વધઘટ થવાથી ચોમાસા દરમિયાન પણ જોવા મળે છે.

સ્વાઇન ફ્લુ વાયરસ હંમેશા હાજર હોય છે, પણ બહુ થોડા લોકો નિયમિત સમયાંતરે એનો ભોગ બને છે. જોકે લોકડાઉન હળવું થવાથી અને ઘણા લોકોએ માસ્ક વિના ફરવાનું ફરી શરૂ કરતાં વાયરસે સરળતાથી વેગ પકડ્યો છે અને ઝડપથી ફેલાયો છે. કેસમાં એકાએક વધારો એચ1એન1 વાયરસના નવા વેરિઅન્ટ સાથે સંબંધિત હોઈ શકે છે, જે એને વધારે ફેલાવવા સક્ષમ બનાવે છે.

વાયરસ વયોવૃદ્ધ અને યુવાન એમ બંને લોકોને સંક્રમિત કરે છે. ઊંચું તાપમાન, ગળામાં સોજો અને છાતીમાં દુઃખાવો – એના સૌથી સામાન્ય લક્ષણો છે. જો દર્દીના નખો પર વાદળી ડાઘ જોવા મળે, શ્વાસોશ્વાસમાં મુશ્કેલી પડે કે રોગપ્રતિકારકક્ષમતા નબળી પડે, તો તેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવા પડે છે. જોકે આ પ્રકારની સમસ્યા બહુ ઓછા દર્દીઓને પડે છે. તેમાં ડાયાબેટિક્સ, કેન્સરના દર્દીઓ, સિરોટિક લિવર અને ગર્ભવતી મહિલાઓ સામેલ છે.

એચ1એન1 માટે એક સમસ્યા છે – ખર્ચાળ આરટી પીસીઆર ટેસ્ટ, જેની કિંમત લગભગ રૂા. 4,000 છે અને એને પૂર્ણ થવામાં 24 કલાક લાગે છે. એટલે મોટા ભાગના ડૉક્ટર્સ અને ક્લિનિશિયન્સ દર્દીની સારવાર લક્ષણોને આધારે કરે છે. ક્લિનિશિયન્સ એચ1એન1નું નિદાન કરવા અતિ સતર્કતા અને ચોકસાઈ દાખવે એ મહત્વપૂર્ણ છે.

લક્ષણો પર આધારિત સારસંભાળ મોટા ભાગના દર્દીઓ માટે પર્યાપ્ત છે. હૂંફાળું પાણી, દર 6 કલાકે પેરાસિટામોલ, આરામ અને કફ સીરપ – સપોર્ટિવ સારસંભાળના ઉદાહરણો છે. 5 દિવસ સુધી દિવસમાં બે વાર ઓસેલ્ટામિવિર 75એમ પર્યાપ્ત એન્ટિ-વાયરસ સારવાર છે. વર્ષમાં એક વાર ફ્લૂની રસી સ્વાઇન ફ્લુની તીવ્રતા ઘટાડે છે.

અત્યારે મોટા ભાગના કેસ મધ્યમ છે, જેમાં 2થી 3 ટકા દર્દીઓને સારવાર માટે ભરતી કરવામાં આવે છે. એરોસોલ સંક્રમણનું મુખ્ય માધ્યમ હોવાથી છીંક આવે ત્યારે નાકને ઢાંકવું અને કફ બહાર કાઢતા મુખ ઢાંકવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે, સારવાર કરતાં નિવારણ સારું, વાયરસનું સંક્રમણ અટકાવવાનો શ્રેષ્ઠ અભિગમ હાથ ધોવાનો, ફેસ માસ્ક પહેરવાનો અને ભીડ હોય એવી જગ્યાએ જવાનું ટાળવાનો છે.

- ડૉ. અનિલ બલાની, કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, પી ડી હિંદુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ખાર

life and style health tips swine flu