કયા સંજોગોમાં ન ચાલે ખુલ્લા પગે ચાલવું?

07 January, 2026 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓવરઑલ સારી બાબત છે પરંતુ ક્યારે એ જોખમી નીવડી શકે છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

ખુલ્લા પગે ચાલવું એ કુદરતી અને ક્યારેક લાભદાયી પ્રવૃત્તિ ગણાય છે, પરંતુ અમુક સંજોગોમાં એ નુકસાનકારક સાબિત થઈ શકે છે. અમેરિકાના જાણીતા પોડિયાટ્રિસ્ટ એટલે કે પગના રોગોના નિષ્ણાતે કહેલી કેટલીક સામાન્ય આદતો વિશે જાણી લઈએ.  

જો તમને ડાયાબિટીઝ હોય તો તમારા પગમાં સંવેદનશીલતા ઘટી જાય છે, જેને ન્યુરોપથી પણ કહેવાય છે. એથી પગમાં નાનો ઘા, કાપો કે ફોલ્લો પડે તો તમને ખબર પણ ન પડે. સમય જતાં આ નાની ઈજા ગંભીર ચેપનું રૂપ ધારણ કરી શકે છે જે અંગૂઠા કાપવા સુધી લઈ જઈ શકે છે એટલે જ ડાયાબિટીઝના દરદીઓએ ક્યારેય ખુલ્લા પગે ન ચાલવું જોઈએ.

સ્વિમિંગ-પૂલ, જિમ, કૉમન શાવર રૂમ જેવાં જાહેર અને ભીનાં સ્થળોએ ખુલ્લા પગે ચાલવાથી ફંગસ અને બૅક્ટેરિયાનો ચેપ લાગવાનું જોખમ ખૂબ વધી જાય છે. આનાથી ઍથ્લીટ્સ ફુટ કે નખના ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કાચના ટુકડા, ખીલી, તીક્ષ્ણ પથ્થરો કે ગરમ ડામરવાળી સપાટી પર ખુલ્લા પગે ચાલવાથી પગમાં કાપા પડવા, કાણાં પડવાં કે દાઝી જવાની શક્યતા રહે છે; જે ચેપનું કારણ બની શકે છે.

જો તમને પ્લાન્ટર ફેસિયાઇટિસ એટલે કે એડીમાં દુખાવો, સપાટ પગ એટલે કે ફ્લૅટ ફીટ કે પગમાં હાઈ આર્ચીઝ એટલે કે પગના વધુપડતા વળાંક જેવી પહેલેથી પગની તકલીફો હોય તો ખુલ્લા પગે ચાલવાથી પગને જરૂરી ટેકો મળતો નથી.

આનાથી દુખાવો વધી શકે છે અને હાલત વધુ બગડી શકે છે.

health tips healthy living diabetes life and style lifestyle news columnists