01 September, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કિડનીનો રોગ એવો રોગ છે જે સમય જતાં વધતો જ જાય છે. અમુક દવાઓ લેવાથી અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવાથી ફરક પડે છે, પણ ઉત્તરોત્તર તકલીફો વધતી જાય છે. દવાનો સપોર્ટ લાંબો સમય રહેતો નથી એટલે ડાયાલિસિસ જરૂરી બને છે. મોટા ભાગના દરદીઓને લાગે છે કે ડાયાલિસિસ એક ઇલાજ છે અને એ ઇલાજ દ્વારા તેઓ ઠીક થઈ જશે. જોકે એવું બિલકુલ નથી એ સમજી લેવું ખૂબ જ જરૂરી છે. ઇલાજનો અર્થ હંમેશાં એ નથી થતો કે એ તમને રોગથી મુક્તિ અપાવે છે, પરંતુ ઇલાજનો અર્થ એ પણ છે કે રોગ સાથે એ તમને જીવવામાં મદદ કરે છે. ડાયાલિસિસ એક સપોર્ટિંગ સિસ્ટમ છે જે વ્યક્તિને જીવવામાં મદદ કરે છે, પરંતુ એ એવો ઇલાજ નથી જેનાથી કિડની ઠીક થાય. જો તમારી કિડની એ સ્ટેજ પર પહોંચી ગઈ છે કે તમને ડાયાલિસિસની જરૂર હોય એનો અર્થ જ એ કે હવે કિડની ઠીક થઈ શકે એમ જ નથી. આમ આ પરિસ્થિતિમાં પ્રશ્ન એ છે કે એક સ્પોર્ટિંગ ટ્રીટમેન્ટ પર તમે કેટલું નિર્ભર રહી શકો? એટલે જે પણ લોકો ડાયાલિસિસ સુધી પહોંચી ગયા છે એ બધા માટે ફાઇનલ ઇલાજ કિડની ટ્રાન્સપ્લાન્ટનો છે જેના વડે તેઓ એકદમ નૉર્મલ લાઇફ જીવી શકે છે.
ઘણા લોકો છે જેઓ કોઈ ને કોઈ કારણોસર વર્ષોથી ડાયાલિસિસ પર હોય છે અને ટ્રાન્સપ્લાન્ટ ટાળતા હોય છે અથવા કોઈ ને કોઈ કારણસર એ ટળતું રહેતું હોય છે. એક એ માન્યતા પણ લોકોમાં હતી કે ડાયાલિસિસ પણ જ્યારે કામ ન કરે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું. આ માન્યતાને છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે ડૉક્ટરો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડાયાલિસિસ એ કિડનીના પ્રૉબ્લેમનો કાયમી ઇલાજ નથી, પરંતુ ટ્રાન્સપ્લાન્ટ એ એનો કાયમી ઇલાજ છે.
બીજું એ કે કોઈ વ્યક્તિ ડાયાલિસિસ સુધીની કન્ડિશન પર પહોંચી ગઈ છે એનો અર્થ એ કે તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે જ. એટલે ખોટી રાહ જોઈને ટ્રાન્સપ્લાન્ટ પાછું ધકેલવું યોગ્ય ગણાશે નહીં. જો કિડનીના દરદીની હાલત ખરાબ થતી જાય તો તેને બચાવવા કે નવજીવન આપવા માટે ટ્રાન્સપ્લાન્ટ અનિવાર્ય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે થોડી આર્થિક સજ્જતાની જરૂર રહે છે. આ સિવાય કિડની ડોનર્સની પણ જરૂર રહે છે. ડોનેશન ઇચ્છુક લિસ્ટમાં નામ નોંધાવ્યા પછી સહજ રીતે ઘણી રાહ જોવી પડે છે. આટલો સમય વેડફવાને બદલે જો દરદીના ઘરમાંથી જ કોઈ વ્યક્તિ દરદીને કિડની દાનમાં આપવા તૈયાર થાય તો એનાથી બેસ્ટ કશું હોતું નથી. આજે ઘણી જાગરૂકતા આવી છે એટલે વધુ ને વધુ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતાં જાય છે. કિડની એક એવું અંગ છે જે જીવિત વ્યક્તિ પણ દાનમાં આપી શકે છે અને પોતાના પ્રિયજનને જીવનદાન આપી શકે છે. એટલે તમે ટ્રાન્સપ્લાન્ટ વિશે વિચારો એ તમારા માટે હિતાવહ રહેશે.