બાળકો ન જ કરવાની મુત્સદ્દીગીરી ખરા અર્થમાં ગેરવાજબી માનસિકતા

11 May, 2026 12:20 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સમય આવી ગયો છે કે સ્માર્ટ, એજ્યુકેટેડ લોકોમાં જે એક સિસ્ટમ બની ગઈ હતી કે એક જ બાળક કરવું એ માનસિકતા તોડીને વધારે બાળકો કરવાની દિશામાં તેમને સમજાવવા

પ્રતીકાત્મક તસવીર

હમણાં મુંબઈના એક કપલને મળવાનું થયું. બન્નેનાં મૅરેજને ઑલમોસ્ટ પાંચેક વર્ષ થઈ ગયાં હતાં. ફૅમિલી ફંક્શનમાં એ કપલ મળ્યું. વાત-વાતમાં ખબર પડી કે હજી તેમને ત્યાં બાળક નથી. હસબન્ડ અને વાઇફનું કહેવું હતું કે તે લોકો કરીઅર પર ફોકસ કરવા માગે છે એટલે તેમની ઇચ્છા સંતાનની નથી. વધારે વાત થઈ તો ખબર પડી કે બન્નેએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમનાં એગ્ઝ અને સીમન ફ્રોઝન કરાવીને સ્ટોર કરી લીધાં છે, જેથી વિચાર બદલે કે ઇચ્છા થાય તો તેઓ બાળક માટે પૉઝિટિવલી આગળ વધી શકે. જોકે તેમનું કહેવું તો એ જ હતું કે મોસ્ટ્લી તો તેઓ બાળક નહીં જ કરે. ઇન્ટરેસ્ટિંગ રીતે તેમણે ઇકૉનૉમિક્સ સમજાવવાનું પણ શરૂ કરી દીધું અને એક બાળક આવ્યા પછી તેને ભણાવી-ગણાવીને તૈયાર કરવામાં આવે ત્યાં સુધીમાં કેટલો ખર્ચ થાય એ વિશે પણ લંબાણપૂર્વક કહ્યું. તેમની વાતો સાંભળવી ગમે એવી હતી, પણ એમાં કોઈ લૉજિક નહોતું. મને કહેવાનું મન થઈ આવ્યું કે આ જ ગણતરી જો તમારા પેરન્ટ્સે કરી હોત તો તમે બન્ને અત્યારે અહીં વાત કરવા માટે ઊભાં ન હોત.

મૅરેજ પછી ફૅમિલી પ્લાનિંગ કરવું કે નહીં એ વિચારમાં અત્યારે બે ક્લિયર-કટ ભાગ પડી ગયા છે. એક ભાગ એવો છે જે ઝડપથી પેરન્ટ્સ બનવા માગે છે તો બીજો ભાગ એવો છે જે કરીઅરના ભોગે કોઈ હિસાબે બાળક કરવા નથી માગતો. આમ જોઈએ તો પેરન્ટ્સ બનવું એ હકીકતમાં અંગત ઇચ્છાને જ આધીન હોવું જોઈએ એવું માનવામાં આવે છે, પણ હકીકતમાં એવું નથી.
માતૃત્વ મેળવવું એ જો મહિલાની અંગત ઇચ્છા હોઈ શકે તો દેશને સારા નાગરિક આપતા રહેવું એ દરેક દેશવાસીની ફરજ છે. એજ્યુકેટેડ, ઇન્ટેલેક્ચ્યુએટ કૅટેગરીમાં આવતું કપલ જો પોતાના જીન્સને આગળ વધારવાનું કામ નહીં કરે તો દેશને કેવી 

રીતે એ પ્રકારની નવી જનરેશન મળશે? અગાઉ પણ આ વિષય પર વાત થઈ છે અને આજે ફરીથી કહેવાનું છે કે સમય આવી ગયો છે કે સ્માર્ટ, એજ્યુકેટેડ લોકોમાં જે એક સિસ્ટમ બની ગઈ હતી કે એક જ બાળક કરવું એ માનસિકતા તોડીને વધારે બાળકો કરવાની દિશામાં તેમને સમજાવવા. જોકે અહીં તો ઊલટું બને છે. હવે સારા ઘરનાં, સારું ભણતર અને સારી પ્રોફેશનલ કરીઅર ધરાવતાં કપલો પેરન્ટિંગથી દૂર રહેવા માગે છે. તેમના માટે પણ આ ઘાતક છે, પણ એ વિષયની ચર્ચા ફરી કરીશું. અત્યારે મુદ્દો રાષ્ટ્રહિતનો છે અને રાષ્ટ્રનું હિત તો જ જળવાશે જો એની નવી પેઢીમાં સ્માર્ટ અને ખાનદાન પરિવારના DNA હોય.

ડૉ. મુકુલ ચોકસી સેક્સોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને કવિ છે

health tips healthy living lifestyle news life and style sex and relationships