24 March, 2026 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજની ભાગદોડભરી લાઇફસ્ટાઇલમાં આપણે સવારના નાસ્તાને માત્ર પેટ ભરવાનું એક સાધન માની લીધું છે. બ્રેકફાસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીલ ઑફ ધ ડે એ વાક્ય સાચું છે, પણ જો એ નાસ્તો તમારી ગટ-હેલ્થને સપોર્ટ ન કરે તો એ ફાયદાને બદલે નુકસાન કરે છે. આપણે વર્ષોથી જે નાસ્તો કરીએ છીએ એ આપણા ગટ માઇક્રોબાયોમ એટલે કે આંતરડાંમાં રહેલા સારા બૅક્ટેરિયાને ધીમે-ધીમે ખતમ કરી રહ્યા છે, પરિણામે ગટ-હેલ્થ બગડવાથી માત્ર પાચનની સમસ્યા જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ પર પણ ગંભીર અસરો પડે છે. ચાલો સમજીએ એવા પાંચ નાસ્તા વિશે જે તમારાં આંતરડાં માટે સ્લો પૉઇઝન સાબિત થઈ શકે છે.
મોટા ભાગનાં ઘરોમાં સવારે બ્રેડ-બટર કે જૅમ સૌથી લોકપ્રિય નાસ્તો છે પરંતુ વાઇટ બ્રેડ મેંદામાંથી બને છે જેમાં ફાઇબર શૂન્ય હોય છે. જ્યારે તમે મેંદો અને ખાંડયુક્ત જૅમ ખાઓ છો ત્યારે બ્લડ-શુગર એકાએક વધી જાય છે. લાંબા ગાળે આ આદતથી શરીરમાં ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ પેદા થાય છે અને આંતરડામાં સોજો આવે છે, જે ડાયાબિટીઝ અને ઓબેસિટીને આમંત્રણ આપે છે. આથી વાઇટ બ્રેડ ખાવાને બદલે હોલગ્રેન બ્રેડ પસંદ કરો અને બટરને બદલે અવાકાડો સ્પ્રેડ કે પીનટ બટરનો ઉપયોગ કરો, જે હેલ્ધી ફૅટ્સ આપે છે.
ઘણા લોકો માને છે કે સવારે એક ગ્લાસ પૅકેજ્ડ જૂસ પીઓ એટલે હેલ્થ બની ગઈ. વાસ્તવમાં ફળમાંથી ફાઇબર કાઢી નાખ્યા પછી જે વધે છે એ માત્ર લિક્વિડ શુગર છે. ફાઇબર વગરની સાકર સીધી લિવર પર લોડ આપે છે અને ફૅટી લિવર જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આંતરડાંને સાફ રાખવા માટે ફાઇબર જરૂરી છે, જે જૂસમાં હોતું નથી. ફળનો રસ પીવાને બદલે આખું ફળ ચાવીને ખાવાની આદત પાડો. જો પીણું જ લેવું હોય તો છાશ અથવા લીંબુપાણી ઉત્તમ વિકલ્પ છે.
ચા સાથે ખારી, પફ કે બિસ્કિટ લેવાં એ આપણી પરંપરા બની ગઈ છે. આ પ્રોડક્ટ્સમાં વનસ્પતિ ઘી અને રિફાઇન્ડ લોટનો ઉપયોગ થાય છે જે આંતરડામાં જઈને ચીપકી જાય છે. ટ્રાન્સ ફૅટ હૃદયની નળીઓમાં બ્લૉકેજની સાથે-સાથે પાચનતંત્રને સાવ ધીમું કરી દે છે. આનાથી ક્રૉનિક કબજિયાતની સમસ્યા કાયમી બની જાય છે. આના કરતાં સવારે નાસ્તામાં ઘરે બનાવેલા ઉપમા, પૌંઆ, ખાખરા કે મગની દાળના ચીલા જેવા દેશી અને પૌષ્ટિક વિકલ્પો અપનાવો.