19 May, 2025 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ધમાચકડીભરી જિંદગીમાં જ્યાં તનાવ, ચિંતા કે નિરાશા રોજનો હિસ્સો બની ગયાં છે ત્યાં થેરપિસ્ટ પાસે જવું ઘણાને મુશ્કેલ લાગે છે. પરંતુ હવે AI-સંચાલિત માનસિક સ્વાસ્થ્ય ઍપ્સ તમારી આંગળીના ટેરવે છે - ન અપૉઇન્ટમેન્ટની ઝંઝટ, ન મોંઘી ફીની ચિંતા. ઍપ્સ રોજિંદા માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં વરદાન સાબિત થઈ રહી છે. પરંતુ શું ઍલ્ગરિધમથી ચાલતી આ થેરપી મુંબઈની ભાવનાત્મક અને સાંસ્કૃતિક જટિલતાઓને ખરેખર સમજી શકે? ટેક્નૉલૉજી માનસિક સ્વાસ્થ્યની સીમાઓને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે, પરંતુ શું AI થેરપિસ્ટ માનવ થેરપિસ્ટ જેટલા અસરકારક અને નૈતિક છે? ચાલો, AI થેરપીના ફાયદા અને મર્યાદાઓ જાણીએ.
વર્તમાન સમયમાં માનસિક આરોગ્યના સહાયના ક્ષેત્રે અદ્વિતીય ફેરફાર થયો છે. વિડિયો-કન્સલ્ટેશનથી લઈને મૂડ-ટ્રૅકિંગ ઍપ્સ સુધીની ડિજિટલ ટેક્નૉલૉજીએ હેલ્થકૅર સિસ્ટમમાં રહેલા ખાડાઓને પૂરવાનું શરૂ કર્યું છે. આ નવી ટેક્નૉલૉજીમાંથી સૌથી વધુ ચર્ચાસ્પદ છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત થેરપી-ટૂલ્સ. આવો જાણીએ એનાં ફાયદાઓ અને મર્યાદાઓ વિશે.
AI આધારિત માનસિક આરોગ્યનાં ટૂલ્સ નૅચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિંગ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને માણસની જેમ જ આપણી સાથે વાતચીત કરે છે અને કોઈ સામાન્ય થેરપિસ્ટની જેમ જ આપણને થેરપી આપવાનો પ્રયાસ કરે છે. Wysa, Youper અને Replika જેવી ચૅટબૉટ્સ Cognitive Behavioral Therapy (CBT) જેવી ટેક્નિક્સ અપનાવે છે. ડિજિટલી અવેર યુવાનોમાં તો આવી ઍપ્સ ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે, ખાસ કરીને એવા લોકો જેમને પરંપરાગત થેરપી માટે ખચકાટ હોય છે. તેમના માટે તો આ વરદાન છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ૨૦૨૪માં પ્રકાશિત અહેવાલ મુજબ વિશ્વભરમાં ૩૦ કરોડથી વધુ લોકો ડિપ્રેશનથી પીડાય છે, પણ માત્ર એક તૃતીયાંશને જ યોગ્ય સારવાર મળે છે. ભારતમાં તો પ્રશિક્ષિત માનસિક સ્વાસ્થ્ય ચિકિત્સકોનું પ્રમાણ પણ ઓછું છે. આવી પરિસ્થિતિમાં AI ટૂલ્સ મદદરૂપ સાબિત થાય છે.