05 May, 2021 12:26 PM IST | Mumbai | Dr. Mukul Choksi
GMD Logo
મારી ઉંમર ૬૭ વર્ષની છે. શાંતિની રિટાયર લાઇફ જીવું છું. બન્ને દીકરીઓ ફૉરેનમાં સેટલ થઈ ગઈ છે. હવે હુતો-હુતો જેવો અમારો ઘાટ છે. સાહેબ, મને હમણાં થોડાક સમયથી સેક્સના વિચારો બહુ આવે છે. સેક્સને લગતા લેખો પણ વાંચવા બહુ ગમે છે. હમણાં મને વાંચતાં-વાંચતાં જાણવા મળ્યું કે ઓશો એવું કહેતા કે સેક્સ બે પગ વચ્ચેની ઘટના નથી પણ બે કાન વચ્ચેનો વિચાર છે. જો એવું હોય તો શું બ્રહ્મચર્ય બે કાન વચ્ચેથી શક્ય બને કે નહીં? - દહિસરના રહેવાસી
ઓશો સાચું કહેતા કે બ્રહ્મચર્ય બે પગ વચ્ચે નહીં પણ બે કાન વચ્ચે જ હોય છે. બ્રહ્મ+ચર્ય. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે શોધ. આત્માની શોધ કરવાની પ્રક્રિયા એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો બીજો અર્થ પણ છે. શાસ્ત્રોમાં બ્રહ્મને વેદ સાથે સરખાવ્યો છે. બ્રહ્મ એટલે વેદ અને ચર્ય એટલે અભ્યાસ. અર્થાત્ બ્રહ્મચર્ય એટલે વેદોનો અભ્યાસ. ધ્યાન માટે અને અભ્યાસ માટે મનનો જ ઉપયોગ થાય અને મન બે કાન વચ્ચે હોય, બે પગ વચ્ચે નથી.
તમે ઓશોની આ વાતને વાંચી એ સારી વાત છે, પણ આ આખી વાતને સમજવાની જરૂર છે અને એ સમજવા માટે ઓશોએ આ વાત જ્યાં કહી છે એ ‘સંભોગ સે સમાધિ તક’ પુસ્તક વાંચવાની કે પછી એ ઑડિયો લેક્ચર સાંભળવાની જરૂર છે. સંભોગ દ્વારા પરમાનંદ પામવાની જે વાત છે એને ઓશોએ પરમાત્મા સાથે જોડી છે. સાઇકોલૉજિકલી પુરવાર થયું છે કે સેક્સથી મોટું સ્ટ્રેસ-બસ્ટર બીજું કશું નથી. મન તનાવમુક્ત હોય એવા સમયે જ પરમાનંદનો અનુભવ થઈ શકે અને મોટા ભાગના લોકોને પરમાનંદનો અનુભવ સેક્સ દ્વારા થતો રહ્યો છે. સેક્સની ચરમસીમા પર સમાધિ જેવી હળવાશનો અનુભવ થાય છે. આ હળવાશના અનુભવને કેવી રીતે આત્મસાત્ કરવી અને આત્મસાત્ કરેલા એ અનુભવને કેવી રીતે સેક્સ વિના પણ પામવો એની આખી યાત્રા ઓશોના આ પુસ્તકમાં છે. ઓશોનું આ પુસ્તક ક્રાંતિકારી વિચારોથી ભરેલું છે. આ પુસ્તક પછી ઓશોના મૉડર્ન વિચારો દુનિયાભરમાં પ્રસરી ગયા હતા.