એકલતા એ કંઈ ગુનો નથી: ઉંમરના ઉત્તરાર્ધમાં સાથીની ઝંખના પાપ નહીં પ્રકૃતિ છે

18 May, 2026 02:17 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

થોડા દિવસ પહેલાં ૬૮ વર્ષના એક રિટાયર સજ્જનનો ફોન આવ્યો. ૪ વર્ષ પહેલાં પત્નીના અવસાન પછી તેઓ તદ્દન એકલા થઈ ગયા છે. દીકરા-વહુ પોતાના કામમાં વ્યસ્ત અને પૌત્ર-પૌત્રીઓ ભણવામાં.

તસવીર સૌજન્ય એઆઈ

થોડા દિવસ પહેલાં ૬૮ વર્ષના એક રિટાયર સજ્જનનો ફોન આવ્યો. ૪ વર્ષ પહેલાં પત્નીના અવસાન પછી તેઓ તદ્દન એકલા થઈ ગયા છે. દીકરા-વહુ પોતાના કામમાં વ્યસ્ત અને પૌત્ર-પૌત્રીઓ ભણવામાં. તેમણે ખૂબ જ ક્ષોભ સાથે પૂછ્યું કે આ ઉંમરે મને મહિલા મિત્રનો સાથ મેળવવાની કે તેની સાથે પ્રેમથી બેસવાની ઇચ્છા થાય છે, શું આ ઉંમરે મારી માનસિકતા બગડી ગઈ છે? જો સંતાનોને ખબર પડશે તો તેઓ શું વિચારશે?
આપણા સમાજમાં એક બહુ મોટી ગેરસમજ પ્રવર્તે છે કે એક ચોક્કસ ઉંમર વટાવ્યા પછી માણસની લાગણીઓ, સંવેદનાઓ કે આકર્ષણ સાવ શૂન્ય થઈ જવાં જોઈએ. ખાસ કરીને વિધુર કે વિધવા વડીલો માટે તો સમાજે એક અદૃશ્ય નિયમાવલિ બનાવી દીધી છે કે તેમણે માત્ર માળા ફેરવવાની કે ધર્મધ્યાન જ કરવાનું! વિજાતીય પાત્રને મળવું, તેની સાથે રહેવાની ઇચ્છા થવી એ વિકૃતિ નથી, શરીરવિજ્ઞાન છે
સૌથી પહેલાં તો એ સમજી લો કે સાથીની જરૂરિયાત કે ફિઝિકલ આકર્ષણની કોઈ ચોક્કસ એક્સપાયરી ડેટ હોતી નથી. જેમ પેટને ભૂખ લાગે એમ મન અને શરીરને પણ હૂંફની, સ્પર્શની અને સંવાદની જરૂરિયાત ઊભી થાય. ૬૮ વર્ષે પણ સાથીની ઝંખના થાય એ બિલકુલ કુદરતી અને સ્વાભાવિક છે. એમાં કશું જ પાપ કે ગુનો નથી.
વડીલો જ્યારે સમાજ અને સંતાનોના ડરથી પોતાની આ તીવ્ર ઇચ્છાઓને દબાવી દે છે ત્યારે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ તેઓ ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી અને એકલતાનો શિકાર બને છે. ઇચ્છાઓને બળજબરીથી દબાવવી એ માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે એટલે ભય અને ગિલ્ટમાંથી બહાર આવો અને જાતને ધિક્કારવાનું બંધ કરો. ઘણા વડીલો પોતાના મનમાં આવતા આવા વિચારો માટે પોતે જ ગિલ્ટ અનુભવે છે. રજનીશે બહુ સરસ વાત કહી છે કે પ્રકૃતિના નિયમો સાથે લડવાને બદલે એનો સ્વીકાર કરો. આ વિચારો તમને જીવંત રાખે છે એટલે જાત પ્રત્યે ઘૃણા ન કેળવો.
સંતાનો ઘણી વાર વડીલોની ભૌતિક જરૂરિયાતો સાચવી લે છે, પણ તેમની માનસિક એકલતા સાચવી શકતાં નથી. એટલે વડીલોએ ડર રાખવાને બદલે જો શક્ય હોય તો સંતાનો સાથે ખૂલીને અથવા કોઈ મધ્યસ્થી દ્વારા વાત કરવી જોઈએ. આજના બદલાતા સમયમાં ઘણી સંસ્થાઓ વડીલો માટે સીઝનલ ફ્રેન્ડશિપ કે લિવ-ઇન જેવાં પ્લૅટફૉર્મ પૂરાં પાડે છે. જિંદગીનાં છેલ્લાં વર્ષો માત્ર કાઢવાનાં નથી હોતાં, જીવવાનાં હોય છે. સમાજ શું કહેશે એ ડરથી મનને મારીને જીવવા કરતાં જો મર્યાદામાં રહીને નવી શરૂઆત થતી હોય તો એમાં પાપ નહીં પણ પુણ્ય છે – પોતાની જાતને ખુશ રાખવાનું પુણ્ય!

sex and relationships relationships columnists lifestyle news life and style