ચાલો ફરવાઃ ચંદીગઢ -શિમલા વચ્ચે રહેલા કસૌલીની મુલાકાત લેવી હોય તો આ રીતે કરો પ્લાન

07 October, 2022 12:12 PM IST  |  Mumbai | Dharmishtha Patel

કસૌલી અને કસોલ બંન્ને અલગ સ્થળો છે એ ખાસ યાદ રાખવું. એન્શિયન્ટ ચર્ચ અને વાદળોની કૉલોનીનો લ્હાવો લેવાકસૌલી કેવી રીતે જવું તે જાણવા માટે વાંચો

કસૌલીનું રમણિય દ્રશ્ય - તસવીર ધર્મિષ્ઠા પટેલ

 કસૌલી (Kasauli Hillstation)એક એવું હિલ સ્ટેશન છે જેને અંગ્રેજોએ પોતાની રજાઓ માણવા માટે શોધ્યું હતું. લેન્ડસ્કેપ બ્યૂટી સાથે વાતો કરતા વાદળોમાં વસેલું કસૌલી આજે સેના છાવણી છે. જો કે તેની સુંદરતા એવી છે કે તેના વિશે સાંભળનાર અને એકાંત માણવા ઈચ્છતા લોકો ત્યાં ગયા વગર રહી નથી શક્તા.  હૃતિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં આ સુંદર જગ્યાની ઝલક તમે જોઈ હશે. આજે પણ લોકો માટે આ વિકેન્ડ ડેસ્ટીનેશન છે. જો તમે પણ તમારા બજેટમાં એવા કોઈ હિલ સ્ટેશન પર જવા માંગતા હોવ જ્યાં બહું ઓછા પ્રવાસીઓ હોય, મોટા શહેરથી જોડાયેલું હોય છતાં એક અલગ જ દુનિયામાં પહોંચી ગયાની અનુભૂતિ કરાવે, તો આ આર્ટિકલ તમારા માટે છે. અહીં હું કસૌલીની તમામ વિગતો શેર કરી રહી છું. જેને વાંચી તમે જાતે આ ટ્રીપ પ્લાન કરી શક્શો.  અને હા આ ટ્રીપ તમે ફ્રેન્સ કે ફેમિલી સાથે તેમજ એકલા પણ કરી શકો છો.

જુઓ કસૌલીની તસવીરોઃ હિમાચલનું સૌથી જૂનુ ચર્ચ શિમલામાં નહીં પણ અહીં છે - કસૌલી ભાગ 1

1. કસૌલી ક્યાં આવેલું છે?

કસૌલી ક્યાં આવેલું છે એ જણાવતા પહેલા હું કહી દઉં કે કસૌલ અને કસૌલી બે અલગ અલગ જગ્યાઓ છે.  કુલ્લુ- મનાલીની નજીક પાર્વતી નદીના કિનારે વસેલ સ્થળ કસૌલ છે. જ્યારે કસૌલી હિમાચલના સોલાન જિલ્લામાં આવેલ હિલ સ્ટેશન છે.  કસૌલી ચંદીગઢથી 60 કિમી પર સ્થિત છે. જ્યારે શિમલાથી તે 69 કિમી પર સ્થિત છે. જ્યારે ધરમપુરથી કસૌલી 10 કિમી પર સ્થિત છે. જ્યારે કાલકાથી ધરમપુર 23 કિમી પર સ્થિત છે. તો ચંદીદઢથી ધરમપુર 50 અને શિલાથી ધરમપુર 59 કિમી પર સ્થિત છે.

2. કેવી રીતે પહોંચશો ?

અહીં બસ, ટેક્સી અને ટ્રેનથી પહોંચી શકાય છે. જોકે ટ્રેનનું લાસ્ટ સ્ટેશન કાલકા છે. જ્યાંથી તમારે કસૌલી માટે બસ કે ટેક્સીથી પ્રવાસ કરવો પડશે. દિવસ દરમિયાન કસૌલીની સીધી બસ પણ ચંદીગઢથી મળતી હોય છે. જેની ફ્રીકવન્સી ઓછી હોય છે. જો કે ધરમપુર જતી બસની સંખ્યા વધારે છે. એટલે પ્રવાસીઓ પહેલા ધરમપુર પહોંચે છે અને ત્યાંથી 10 કિમી પર સ્થિત કસૌલી પહોંચે છે. તમે દિલ્હી કે ચંદીગઢથી મનાલી કે શિમલા જતી કોઈ પણ બસ પકડી ધમપુર પહોંચી શકાય છે. ચંદીગઢ, દિલ્હી કે શિમલાથી પ્રાઈવેટ ટેક્સી કરીને પણ કસૌલી પહોંચી શકાય છે. જો તમે કાલકા શિમલા ટોય ટ્રેનનો અનુભવ કરવા માંગો છો તો કાલકાથી શિમલા જતી ટોય ટ્રેન પકડો જે તમને ધરમપુર ઉતારશે.

3. તમારા ગંતવ્ય સ્થળથી કસૌલીનું અંતર કેટલું છે અને કેટલો સમય લાગશે? તેનું અંદાજીત ભાડું કેટલું હશે?

દિલ્હીથી ચંદીગઢનું 243 કિમી અંતર કાપતા બસમાં અંદાજીત 5 કલાક જેટલો સમય લાગે છે. જેનું ભાડું 270થી 300 હોય છે. ચંદીગઢથી ધરમપુર 50 કિમી પર છે. ત્યાં પહોંચવામાં 1.30 કલાક લાગે છે. જેનું અંદાજીત બસ ભાડું 90 રુપિયા હશે. દિલ્હીથી કસૌલીનું અંતર 305 કિમી છે. આ અંતર 8 કલાકમાં પુરુ કરી શકાય છે. જેનું અંદાજીત ભાડું 350થી 400 રુપિયા હશે. જ્યારે ધરમપુરથી કસૌલી 10 કિમીના અંતર પર છે. 25 મિનિટનું આ અંતર કાપવામાં અંદાજીત 20 રુપિયા ભાડું થશે. ચંદીગઢથી કસૌલીની સૌથી પહેલી બસ સવારે 4 વાગ્યે મળશે.  જો તમે ચંદીગઢથી કસૌલી પ્રાઈવેટ ટેક્સીથી જવા માંગો છો તો તેનું અંદાજીત ભાડું 2200થી 3000 રુ હશે. હવે વાત કરીએ ટ્રેન મુસાફરીની. ચંદીગઢથી કસૌલીનું અંતર ટ્રેનથી 55 કિમી છે. જેમાં કુલ 50 રુ. નો ખર્ચ આવશે. ચંદીગઢથી કાલકાનું ટ્રેનમાં અંતર 30 કિમી છે. જેની અંદાજીત ટિકીટ 20 રુપિયા છે. જ્યારે કાલકાથી શિમલા જતી ટોય ટ્રેનમાં ધરમપુર ઉતરવાનું રહેશે. કાલકાથી ધરમપુરનું અંતર 25 કિમીનું છે. જેની અંદાજીત ટિકીટ 30 રુપિયા છે.

4.  શું શું જોવાલાયક છે? કેટલા દિવસની ટ્રીપ પ્લાન કરાય?

કસૌલી હિલ સ્ટેશનમાં સુંદરતાની સાથે આસ્થા, આર્કિટેક્ચર અને સાયન્સનો અદભૂત સંગમ છે. એટલે દરેક પ્રકારના પ્રવાસીઓને આ જગ્યા પસંદ આવે એ સ્વાભાવિક છે. જોવાલાયક સ્થળમાં મંકી પોઈન્ટ (Monkey Point)જ્યાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે.  જેની મુલાકાત સવારે 9 થી સાંજના 5 દરમિયાન લઈ શકાય છે. ત્યાંથી કસૌલીનો સુંદર નજારો જોઈ શકાય છે. હિમાચલનું સૌથી જૂનું 1844માં બનેલ ક્રાઈસ્ટ ચર્ચ (Christ Church) જે બ્રિટિશ આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે.  તેની મુલાકાતનો સમય છે સવારે 7 થી રાતના 7 વાગ્યાનો.  1905માં બની સેન્ટ્રલ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRI)(Central Research Institute) જે દુનિયાભરમાં વેક્સિન પાયોનિયર મનાય છે. ગિલ્બર્ટ ટ્રેલ (Gilbert trail)ઔર સુસાઈટ પોઈન્ટ (suicide point), તેમજ સનસેટ પોઈન્ટ પણ જોવાલાયક છે. સનસેટ પોઈન્ટથી પંજાબ, ચંદિગઢ અને હિમાચલને એક જ ફ્રેમમાં 360 વ્યૂહ સાથે જોઈ શકાય છે.  આ ઉપરાંત તમે  નહરી ટેમ્પલ (Nahri Temple), લવર્સ લેન તથા કસૌલીનું હેરિટેજ માર્કેટ અને મોલ રોડ પણ એક્સપ્લોર કરી શકો છો. આ બધું એક્સપ્લોર કરવામાં 2 દિવસનો સમય લાગશે.

5. કસૌલીની બેસ્ટ સિઝન કઈ છે?

કસૌલીની મુલાકાત લેવાની બેસ્ટ સિઝન જૂનથી જુલાઈ છે. સપ્ટેમ્બર અને નવેમ્બરમાં અહીં ગ્રીનરી મળશે. ચોમાસામાં અહીં આવવું ટાળવું જોઈએ. કેમ કે અહીં લેન્ડ સ્લાઈડની સમસ્યા થઈ શકે છે. શિયાળામાં અહીં બરફ વર્ષા (સ્નો ફોલ) નથી થતી. તો સ્નો ફોલ જોવા અહીં ન જતા.

6. કેટલો ખર્ચ થાય છે?

ચંદીગઢથી અહીં બસમાં આવવા જવાનો ખર્ચ 800થી 1000 થશે. જ્યારે અહીં1000થી 1500માં સારા સ્ટે ઓપ્શન મળી જાય છે. મોટા ભાગનું કસૌલી ચાલીને ફરી શકાય છે, પણ જો તમે ટેક્સી કરો છો એક દિવસનો 600થી 700 રુપિયા ટેક્સી ખર્ચ  થશે. મારું માનો તો આ ચાલીને ફરવાની મજા જ અલગ છે. તેમજ અહીં 100 રુપિયાથી ભોજન ઓપ્શન શરુ થાય છે.

7. કેટલીક મહત્વની ધ્યાન આપવા જેવી બાબતો.

દિલ્હીથી કસૌલી સીધા પહોંચી શકાય છે. જો કે ચંદીગઢના ISBT સેક્ટર 43થી ધરમપુર જનારી બસની ફ્રિકવન્સી વધારે છે. ચંદીગઢથી સૌથી પહેલી બસ સવારે 4 વાગે નીકળે છે.  ધરમપુર થી કસોલી માટે દિવસ દરમિયાન અનેક વાહન મળી રહેશે, પણ જો તમને 7 વાગ્યા પછી ધરમપુર પહોંચ્યા તો કસૌલી માટે કોઈ બસ કે અન્ય વાહન નહીં મળે તમારે પ્રાઈવેટ વાહન શોધવું પડશે. જો તમે પોતાની કાર કે વ્હીકલ લઈને જઈ રહ્યા છો તો કસૌલીના પાર્કિંગના નિયમોનું પાલન અચુક કરજો. કેમ કે તમે વાહન ગમે ત્યાં પાર્ક કર્યું તો 2500થી વધારેનો દંડ થઈ શકે છે. તમે પોતાની કાર લઈને જઈ રહ્યા છો તો કારને કસૌલીના કાર પાર્કિંગમાં મુકવી પડશે. આ પાર્કિંગ વ્યવસ્થા બસ સ્ટેન્ડમાં જ છે. પોતાની કાર સાથે જનારને કસૌલીમાં એન્ટ્રી ફી પણ ચૂકવવી પડશે. જો તમે કાલકા શિમલા ટોય ટ્રેનથી ધરમપુર જવા માંગો છો તો પહેલા ટ્રેનનો સમય ચેક કરી લેજો કેમ કે ફ્રિકવન્સી ઔછી છે. મારું માનો તો ટોય ટ્રેનને મુસાફરી તરીકે ઉપયોગમાં ત્યારે જ લો જ્યારે તમારી પાસે પુરતો સમય હોય. સિઝનમાં કસૌલી જઈ રહ્યા છો તો પહેલાથી સ્ટે બુક કરાવીને જજો. 

travelogue travel news shimla chandigarh