સુરતમાં ભક્તિબાગ મેદાનમાં ઊજવાયો ભવ્ય શાકોત્સવ દોઢ લાખ ભક્તોએ લાભ લીધો પ્રસાદનો

30 December, 2025 10:52 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

૧૨,૦૦૦ કિલો બાજરીના લોટના રોટલા, ૨૦,૦૦૦ કિલો રીંગણનું શાક, ૧૦,૦૦૦ કિલો ખીચડી, ૪૫૦૦ લીટર કઢી

ભવ્ય શાકોત્સવ

સુરતમાં ઍન્થમ સર્કલ પાસે આવેલા ભક્તિબાગ મેદાનમાં સ્વામીનારાયણ ‘ધર્મકુળ ‌આશ્રિત સત્સંગ સમાજ’ દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં લગભગ દોઢ લાખથી વધુ હરિભક્તોએ મહાપ્રસાદનો લહાવો લીધો હતો.

આટલા મોટા આયોજનને પાર પાડવા માટે ૨૦૦૦થી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થાપન સંભાળ્યું હતું. શાકોત્સવની પૂર્વસંધ્યાથી જ ભક્તો દ્વારા તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી. 
પરંપરાગત ચૂલા પર ભોજન તૈયાર કરાયું હતું. પ્રસાદ માટે ૧૨,૦૦૦ કિલો બાજરીના લોટમાંથી રોટલા હાથેથી ઘડીને બનાવવામાં આવ્યા હતા. ૨૦,૦૦૦ કિલો રીંગણનું શાક બનાવવામાં આવ્યું હતું. ૧૦,૦૦૦ કિલો ખીચડી અને ૪૫૦૦ લીટર કઢી બનાવવામાં આવી હતી. આ તમામ સામગ્રીમાં ૧૮૭૫ કિલો ઘી અને મસાલાનો ઉપયોગ થયો હતો. 

શાકોત્સવનું મહત્ત્વ 

આ પરંપરામાં સ્વામીનારાયણ ભગવાનનો ઇતિહાસ જોડાયેલો છે. ૧૮૮૭માં લોયા ગામમાં ભગવાન સ્વામીનારાયણ બે મહિના રોકાયા હતા. એ સમયે તેમણે પોતાના હાથે રીંગણનું શાક વઘારીને ભક્તોને પ્રેમથી જમાડ્યા હતા. ભગવાનની આ લીલાને જીવંત રાખવા માટે સ્વામીનારાયણ સંપ્રદાય શિયાળામાં એક વાર ભવ્ય શાકોત્સવનું આયોજન કરે છે. 

gujarat news gujarat surat swaminarayan sampraday culture news