અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ ૧૪૯મી રથયાત્રા ઃ સંભવિત રીતે પહેલી વાર એવું બન્યું કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં ચાલતા જોવા મળ્યા ઃ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પ્રભુને વધાવ્યા ગુલાબનાં ફૂલોથી ઃ ઈરાન-અમરિકા યુદ્ધ તેમ જ હોર્મુઝની ખાડી, ગૅસ, પેટ્રોલના ટૅબ્લો અને પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ ઃ હાથીઓના બંધાયા પગ: અમિત શાહ મંગળા આરતીમાં થયા સહભાગી. ગુજરાતમાં ગઈ કાલે અષાઢી બીજે અમદાવાદના જગન્નાથજી મંદિરેથી હર્ષોલ્લાસપૂર્વક નીકળેલી પૌરાણિક, ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. નગરજનોને વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી દર્શન આપવા માટે સામે ચાલીને નગરમાં નીકળે છે ત્યારે નગરમાં પધારેલા નગરના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ અક્ષત કુમકુમ અને ફૂલોથી વધાવ્યાં હતાં. સમી સાંજે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી અમીછાંટણાં કર્યાં હતાં.આ વખતે નીકળેલી રથયાત્રામાં સંભવિત રીતે આવું પહેલી વાર બન્યું છે કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી ચાલતા જોવા મળ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી જમાલપુર દરવાજા તરફ અને ત્યાંથી આગળ પગપાળા જતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે રથયાત્રામાં મહંત જીપમાં બેસતા હોય છે, પરંતુ તેઓ હાથીઓની સાથે-સાથે ચાલતા જતા હતા. રથયાત્રાનાં દર્શન કરવા આવેલા અગણીત ભક્તજનોને પણ મહંતને આમ પગપાળા ચાલતા જોઈને અચરજ થયું હતું અને સાથે-સાથે આનંદ પણ થયો હતો કે મહંત પદયાત્રા કરી રહ્યા છે. ધાર્મિકજનોએ મહંતના આશીર્વાદ પણ લીધા હતા. જોકે પાછળથી તેઓ જીપમાં બેસીને રથયાત્રાના રૂટ પર આગળ વધ્યા હતા.
17 July, 2026 02:22 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent