13 June, 2026 08:53 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આવા પ્રોજેક્ટનો છે પ્લાન
અમદાવાદમાં જે સ્થળે પ્લેન ક્રૅશ થયું હતું એ સ્થળે પૅરાપ્લેજિયા અને સ્પાઇન હૉસ્પિટલ તેમ જ ફિઝિયોથેરપી કૉલેજ બનાવવાનો પ્લાન હાથ ધરવામાં આવ્યો છે. દુર્ઘટનાસ્થળે ૫૪૭ કરોડ રૂપિયાથી વધુના આરોગ્ય અને શિક્ષણના આધુનિક પ્રોજેક્ટ્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ આ જાહેરાત કરીને કહ્યું હતું કે ‘આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના મેઘાણીનગરમાં ન્યુ મેન્ટલ કૅમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતને દૂર કરીને ત્યાં આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ ગુજરાત સરકારે કર્યો છે. વિમાન-દુર્ઘટનાથી નુકસાન પામેલી ઇમારતોને દૂર કરીને ત્યાં ૨૯૫ કરોડ રૂપિયાના ખર્ચે પૅરાપ્લેજિયા અને સ્પાઇન હૉસ્પિટલ, રીહૅબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરપી કૉલેજ અને ૫૦૦ વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મૅરીડ પોસ્ટ-ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ૧૯૨ કરોડ રૂપિયાના ખર્ચે ૫૧૦ યુનિટ ધરાવતા ગ્રાઉન્ડ ફ્લોર તેમ જ ૭ માળના નવા ૮ હૉસ્ટેલ બ્લૉક્સનું નિર્માણ કરવામાં આવશે. ૮૦૦ વિદ્યાર્થીઓ માટે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક કૅન્ટીન બિલ્ડિંગ બનશે તેમ જ ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર અને ૭ માળની અદ્યતન ફૂડ ઍન્ડ ડ્રગ્સ લૅબોરેટરી બનશે.’