દુર્ઘટનાના એક વર્ષે રિપોર્ટને બદલે આવ્યું માત્ર નિવેદન

13 June, 2026 08:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ ફ્લાઇટ ક્રૅશ કેસમાં ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એક વર્ષ પૂરું થયું ત્યારે નિયમ મુજબ રિપોર્ટના નામે માત્ર નિવેદન આપ્યું

દુર્ઘટનાની ફાઇલ તસવીર

ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની ગંભીર હોનારતને ગઈ કાલે બરાબર એક વર્ષ પૂરું થતાં ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ આ કરુણાંતિકા વિશે વચગાળાનો બીજો અહેવાલ જાહેર કર્યો હતો. AAIBના જણાવ્યા અનુસાર આ પ્લેન-ક્રૅશની તપાસ હવે વ્યાપક વિશ્લેષણના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બ્યુરોએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ઍરક્રાફ્ટ સિસ્ટમ્સ, ફ્લાઇટ રેકૉર્ડર (બ્લૅક બૉક્સ) ડેટા, એન્જિનના ભાગો, મેઇન્ટેનન્સ રેકૉર્ડ અને ઑપરેશનલ દસ્તાવેજો સહિત એકઠા કરાયેલા તમામ પુરાવાઓનું સઘન પરીક્ષણ કરીને રિપોર્ટ પોતાના અંતિમ તબક્કામાં છે.

આ સાથે જ AAIBએ મીડિયા અને જનતા સહિતના તમામ હિતધારકોને ચેતવણી આપી છે કે ‘તપાસ હજી ચાલુ હોવાથી અધૂરી માહિતીના આધારે કોઈ તારણ પર ન આવવું કે ખોટી અટકળો ન લગાવવી. સિવિલ એવિયેશન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્ય માટે બોધપાઠ મેળવીને ઉડ્ડયન સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે, કોઈના પર દોષારોપણ કરવાનો કે કાનૂની જવાબદારી નક્કી કરવાનો નથી. ઇન્ટરનૅશનલ સિવિલ એવિયેશન ઑર્ગેનાઇઝેશન (ICAO)ના વૈશ્વિક નિયમો અને સમીક્ષા પ્રક્રિયા પૂરી થયા બાદ જ આ વિશેનો અંતિમ સત્તાવાર અહેવાલ બહાર પાડવામાં આવશે.’

૨૦૨૫ની ૧૨ જૂને અમદાવાદથી ઉડાન ભર્યા બાદ આ વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું, જેમાં ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ahmedabad plane crash plane crash air india ahmedabad gujarat gujarat news aircraft accident investigation bureau of india AAIB