13 June, 2025 06:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વિજય રૂપાણીની વાયરલ થઈ રહેલી ટિકિટ (તસવીર: X)
અમદાવાદ ઍરપોર્ટ નજીક આવેલા મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડ ખાતે ઍર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર પ્લેન ક્રેશ થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ પ્લેનમાં અંદાજે 242 મુસાફરો હતો, જેમાંથી 100ના મોત થયા હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ પ્લેનમાં ગુજરાતના ભુતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હોવાનો દાવો કરવાં આવી રહ્યો છે, જોકે દુર્ઘટના દરમિયાન તેઓ હતા કે નહીં અને ક્રેશ બાદ તેમની તબિયત કોઈ સત્તાવાર જાહેરાત કરવાં આવી નથી.
ઍરપોર્ટ પરથી ટેક ઑફ કર્યાના બે મિનિટમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદના વીડિયો સામે આવી રહ્યા છે. આ સાથે સોશિયલ મીડિયા પર વિજય રૂપાણીના બોર્ડિંગ પાસની તસવીરો પણ શૅર કરવામાં આવી રહી છે. આ સાથે પ્લેનમાં સવાર લોકોની લિસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં 12માં નંબરે રૂપાણીનું નામ જોવા મળી રહ્યું છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત થઈ નથી.
સરકારે શું પગલાં લીધા
અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હૉસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી. અમિત શાહ હવે અમદાવાદ જવા રવાના થયા છે આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્ય સરકાર પાસેથી ઘટનાની માહિતી મેળવી હતી.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી લંડનના ગેટવિક જતી ફ્લાઇટ AI 171, આજે વહેલી સવારે ટેકઑફ કર્યા પછી તરત જ ઍરપોર્ટની બહાર ક્રેશ થઈ ગઈ હતી. પરિણામે, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ, અમદાવાદ હાલમાં કાર્યરત નથી. આગામી સૂચના સુધી તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. મુસાફરોને ઍરપોર્ટ પર જતા પહેલા નવીનતમ અપડેટ્સ માટે તેમની સંબંધિત ઍરલાઇન્સ સાથે તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે. આ બદલાતી પરિસ્થિતિને નિયંત્રિત કરતી વખતે અધિકારીઓ તમારા સહકાર અને ધીરજની વિનંતી કરવામાં આવી છે. વધુ અપડેટ્સ ઉપલબ્ધ થતાં જ જાહેર કરવામાં આવશે, SVPIA પ્રવક્તાએ માહિતી આપી.