13 February, 2026 10:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
૨૦૨૫માં ૧૨ જૂને અમદાવાદમાં લંડન જતું ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયું એ સંબંધિત લંડનના ‘ધી ઇન્ડિપેન્ડન્ટ’ ન્યુઝપેપરે દાવો કર્યો છે કે ઍર ઇન્ડિયાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને વધારાના વળતરના બદલામાં દાવો કરવાનો અધિકાર છોડી દેવાની ઑફર કરી હતી. ઍરલાઇને અંતિમ સમાધાનની રકમ તરીકે વધારાના ૧૦ લાખ રૂપિયાની ઑફર કરી હતી, જે કેટલાક કિસ્સાઓમાં ૨૦ લાખ રૂપિયા જેટલી વધારે પણ હતી. પરિવારોએ ભવિષ્યમાં ક્રૅશ સંબંધિત દાવાઓ દાખલ ન કરવા અને કંપનીને તમામ કાનૂની જવાબદારીઓમાંથી મુક્ત કરવા સંમત થવું પડશે એવું જણાવ્યું હતું. આ માફી કોઈ પણ દેશ અથવા કોર્ટમાં લાગુ પડશે.
૧૩૦ પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી કાનૂની ટીમે ઍર ઇન્ડિયાના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેમની દલીલ છે કે તપાસ પૂરી થઈ નથી અને જવાબદારી નક્કી કરવામાં આવી નથી એટલે તેમને કેસમાં તેમના અધિકારો છોડી દેવાનું કહેવું અન્યાયી છે. કેટલાક ઘાયલની સારવાર હજી પણ ચાલુ છે.
બીજી તરફ ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ઍર ઇન્ડિયા આ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા દરેક અસરગ્રસ્ત પરિવારને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રારંભિક વચગાળાની ચુકવણી કર્યા પછી અમે નક્કી કર્યું છે કે દરેક પરિવારને અંતિમ ચુકવણી વાજબી અને કાયદા અનુસાર હોય.’