05 February, 2025 10:56 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent
અંબાજી મંદિર
ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ૯ ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. આ મહોત્સવના આયોજન માટે ગઈ કાલે બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વર્ષોથી માઈભક્તો આસ્થા અને શ્રદ્ધાથી અંબાજીમાં દર્શન કરવા આવતા હોય છે અને ગબ્બર પર જ્યોતનાં દર્શન કરતા હોય છે. ગબ્બરની ફરતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી માઈભક્તોને એક જ સ્થળે એકસાથે ૫૧ શક્તિપીઠનાં દર્શનનો લાભ મળી રહ્યો છે ત્યારે આગામી ૯, ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન ત્રણદિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની વ્યવસ્થાની સમીક્ષા માટે ગઈ કાલે પાલનપુરમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. યાત્રાળુઓ માટે ભોજન-વ્યવસ્થા, દર્શન માટેની વ્યવસ્થા, સ્વચ્છતા, પાણી, પાર્કિંગ, બસનું સંચાલન, અંબાજીથી અંબાજી ગબ્બર સુધી જવા માટે મિની બસની વ્યવસ્થા તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી.