બાંગ્લાદેશમાં હિંસાને કારણે ગુજરાતના વેપારીઓને 1000 કરોડ કરતાં પણ વધુનું નુકસાન

10 August, 2024 03:34 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Bangladesh Violence: સુરતથી દર મહિને રૂ. 500 કરોડથી વધુનું કાપડ કોલકાતા જાય છે. તેમાંથી લગભગ 50 ટકા એટલે કે 250 કરોડ રૂપિયાનો સામાન બાંગ્લાદેશ પહોંચે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પાડોશી દેશ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાની અસર (Bangladesh Violence) ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારતના પાડોશી દેશમાં હિંસાચારનો ફાયદો લઈને અનેક નાગરિકોએ બોર્ડર પાર કરી ભારતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ જ બંને દેશોના વેપાર પર પણ મોટો ફટકો પડ્યો છે, ભારત બાંગ્લાદેશ બોર્ડર પર આયાત અને નિકાસ માટે સેંકડોની સંખ્યામાં માલવાહક ટ્રેકો ઊભા છે, પણ હિંસાચારને લીધે તેમણે બોર્ડર પર જ રોકવામાં આવ્યા છે. બાંગલાદેશમાં આવી પરિસ્થિતીને કારણે ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પણ મોટો ફટકો લાગ્યો છે. બાંગ્લાદેશમાં હિંસા બાદ બંને દેશો વચ્ચેનો વેપાર અટકી જવાને કારણે ગુજરાતના વેપારીઓના લગભગ 1,200 કરોડ રૂપિયાનું રોકાણ અટક્યું છે.

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામા પછી અને દેશમાં વ્યાપક વિરોધ પછી વચગાળાની સરકારની રચના પછી, ભારતીય વેપારીઓને (Bangladesh Violence) આશા છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થશે અને વેપાર ફરી શરૂ થશે. ગુજરાતમાંથી બાંગ્લાદેશમાં રીએક્ટિવ રંગો, રસાયણો, પિગમેન્ટ પેસ્ટ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, API, દવાઓ અને ટાઇલ્સની નિકાસ કરવામાં આવે છે જેના પૈસા અટકી ગયા છે. નોંધનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધ અને યુરોપમાં મંદી પછી બાંગ્લાદેશ રંગ, રસાયણો અને મધ્યવર્તી વસ્તુઓ માટે એક મહત્ત્વપૂર્ણ બજાર બની ગયું હતું, પરંતુ બાંગ્લાદેશમાં હિંસા અને સરકારના પરિવર્તને ફરી એકવાર વેપાર પર ગ્રહણ લગાવ્યું છે. ગુજરાતી વેપારીઓને ચિંતા છે કે બાંગ્લાદેશની બેન્કો દ્વારા જાહેર કરાયેલા લેટર્સ ઓફ ક્રેડિટને ત્યાં હાલમાં ભારત વિરોધી ભાવનાને કારણે સન્માનિત કરવામાં આવશે નહીં.

એક અખબારી અહેવાલ મુજબ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ આ અંગે જણાવ્યું હતું કે 2023માં ભારત અને બાંગ્લાદેશ (Bangladesh Violence) વચ્ચે 14 બિલિયન અમેરિકન ડૉલરનો વેપાર થયો જેમાં ભારતે 12.2 અબજ ડોલરના માલની નિકાસ કરી અને 1.8 અબજ ડોલરની આયાત કરી હતી. આ વર્ષે વેપારમાં વધુ વૃદ્ધિ થવાની ધારણા હતી, પરંતુ હવે બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલના કારણે તેના પર ગ્રહણ લાગી ગયું છે જેથી વેપારીઓ એવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે પરિસ્થિતિ જલ્દી સુધરશે. તેમનું કહેવું છે કે બાંગ્લાદેશની કંપનીઓ સામાન્ય રીતે માત્ર 15 દિવસનો સ્ટૉક રાખે છે. વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. ભારત પર વધુ પડતી નિર્ભરતાને કારણે બાંગ્લાદેશે ટૂંક સમયમાં વેપાર શરૂ કરવો પડશે.

બાંગ્લાદેશમાં હિંસાચારને કારણે સુરતના કાપડના વેપારને સૌથી મોટો ફટકો પડ્યો છે. આશરે 500 કરોડ રૂપિયાના ટૅક્સટાઈલ બિઝનેસ (કાપડ ઉદ્યોગ) ને અસર થઈ છે. ગત વર્ષે સુરતથી બાંગ્લાદેશમાં 1200 કરોડ રૂપિયાના કપડાનું નિકાસ (Bangladesh Violence) કરવામાં આવ્યું છે. સુરતથી દર મહિને રૂ. 500 કરોડથી વધુનું કાપડ કોલકાતા જાય છે. તેમાંથી લગભગ 50 ટકા એટલે કે 250 કરોડ રૂપિયાનો સામાન બાંગ્લાદેશ પહોંચે છે. સુરતના 700 જેટલા વેપારીઓ કોલકાતા થઈને બાંગ્લાદેશ સાથે વેપાર કરે છે. તેમની રૂ. 100 કરોડથી વધુની ચૂકવણી અટકી છે. જેથી આ પૈસા વેપારીઓને મળે તે માટે હવે સરકાર સમક્ષ માગણી કરી છે.

gujarat news bangladesh sheikh hasina business news commodity market