સ્વજનોને શોધતા આવેલા લોકોમાં આક્રોશ ફેલાયો

14 June, 2025 07:12 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ત્રણ-ત્રણ કલાક સુધી પોતાનાં સગાં ક્યાં છે એની કોઈ માહિતી નહીં મળતાં સ્વજનો બેબાકળાં બની ગયાં :સ્વજનોના કરુણ આક્રંદથી હૉસ્પિટલ પણ આક્રંદિત થઈ ઊઠી: ઍમ્બ્યુલન્સની સાયરનોથી આખા વિસ્તારમાં ગમગીનીનો માહોલ: પ્લેનનો કાટમાળ દૂર સુધી ફંગોળાયો

સિવિલ હૉસ્પિટલમાં સ્વજનો એકઠા થયા હતા.

પ્લેન-ક્રૅશની કરુણાંતિકા બાદ સ્વજનોને શોધવા માટે સિવિલ હૉસ્પિટલમાં આવેલાં સગાંઓને શરૂઆતના સમયમાં પ્રૉપર માહિતી ન મળતાં આક્રોશ ફેલાયો હતો. એટલું જ નહીં, સ્વજનોના આક્રંદથી હૉસ્પિટલ પણ આક્રંદિત થઈ ઊઠી હતી.

પ્લેન-દુર્ઘટનામાં જેમનાં મોત થયાં તેમનાં સગાંઓને જેમ-જેમ ખબર પડતી ગઈ તેમ-તેમ સગાંસંબંધીઓ સિવિલ હૉસ્પિટલમાં દોડી આવ્યાં હતાં. સિવિલ હૉસ્પિટલમાં બેથી ત્રણ કલાકનો રઝળપાટ કરવા છતાં પણ પોતાના સ્વજનોની કોઈ ભાળ ન મળતાં બેબાકળા થઈ ઊઠ્યાં હતાં. કેટલાક સ્વજનો આક્રોશ સાથે કહેતા હતા કે કોઈ માહિતી આપનાર જ નથી તો અમારે અમારાં સગાંને ક્યાં શોધવા, તેમનું સ્ટેટસ તો અમને કોઈ જણાવો, કોઈ સ્પષ્ટતા કરતું જ નથી તો અમે ક્યાં જઈએ? અમારી માનસિક હાલત શું છે એ કેમ કોઈને ખબર ન પડતી હોય? 

સિવિલ હૉસ્પિટલની પાછળના ભાગે આ દુર્ઘટના બનતાં ભોગ બનનારાઓને સિવિલ હૉસ્પિટલ લઈ જતી ઍમ્બ્યુલન્સની સાયરનોથી આખા વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ઘટના જે સ્થળે બની એ તરફ જતા બે રસ્તા પર ઍમ્બ્યુલન્સ, મેડિકલ-વૅન, ફાયર-ફાઇટર સહિતનો કાફલો ખડકાઈ ગયો હતો.

પ્લેનનો અકસ્માત એટલો પ્રચંડ હતો કે એનો કાટમાળ દૂર-દૂર સુધી ફંગોળાઈ ગયો હતો. પ્લેનના પાંખિયાનો કાટમાળ તો છેક ઘોડાકૅમ્પ રોડ પર પડ્યો હતો. પાંખિયું એટલું મોટું હતું કે એને જોઈને લોકો હેબતાઈ ગયા હતા.

gujarat news ahmedabad plane crash air india columnists